કૃણાલને કોરોના થતાં શ્રીલંકા સામેની બીજી ટી-૨૦ મુલત્વી
કોરોના ક્રિટર્સનો કેડો નથી છોડી રહ્યો : સંપર્કમાં આવનારા ૮ જેટલા ખેલાડીઓ આઈસોલેશનમાં
કોલંબો, તા.૨૭ : ક્રિકેટના મેદાનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે સાંજે યોજાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી-૨૦ મેચ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, એક ભારતીય ક્રિકેટર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આઠ જેટલા ખેલાડીઓ તેની સાથે સંપર્કમાં હતા. હવે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા બધા આઈસોલેશનમાં છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય ટીમમાં કૃણાલ પંડ્યાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓલ-રાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના થતાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મંગળવારની ટી-૨૦ મેચ મુલતવી રાખવામાં આવી છે. જો બાકી ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવે તો મેચ બુધવારે યોજાવાની સંભાવના છે. તાજેતરમાં, ૨૨ જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ કોરોના વાયરસને કારણે સ્થગિત કરવી પડી હતી.
બીજી વનડે મેચમાં ટોસ પછી તરત જ કોરોના કેસ મળતાની સાથે જ બંને ટીમોના કેમ્પમાં હંગામો મચી ગયો હતો. મેચને રદ કરવાની જાહેરાત પ્રથમ બોલ ફેંકવાના કેટલાક મિનિટ પહેલા કરવામાં આવી હતી. ભારત અને શ્રીલંકા શ્રેણીની વાત કરીએ તો આજે બંને ટીમો વચ્ચે બીજી ટી-૨૦ મુકાબલો થવાનો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સાંજે સાત વાગ્યે ટોસ થવાનો હતો જ્યારે મેચ રાત્રે ૮ વાગ્યે શરૂ થવાની હતી. જો કે, હવે કૃણાલ પંડ્યાને કોરોના થતાં આજની મેચ સ્થગિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સીરિઝનો છેલ્લો ટી-૨૦ મુકાબલો ૨૯ જુલાઈના રોજ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.