સુપ્રિમ કોર્ટે મોહર્રમ ઝુલુસની મંજૂરી અંગેની અરજી નકારી કાઢીઃ કહ્યું મંજૂરી અપાશે તો અરાજકતા ફેલાવાનો ભય
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ મોહરમ જુલુસ કાઢવાની માગ કરતી અરજીને નકારી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, જો જુલુસ કાઢવાની મંજૂરી આપવામાં આવશે તો અરાજકતા ફેલાશે. કોર્ટે સાથે પુરી રથયાત્રાને મંજૂરી કેમ આપી તે પણ જણાવ્યું છે. શિયા ધર્મગુરૂ મૌલા કલ્બે ઝવ્વાદે દેશમાં મોહરમ જુલુસ કાઢવાની માગ કરતી અરજી દાખલ કરી હતી.
તો કોરોનાના નામ પર એક સમુદાય પર નિશાન સધાશે- SC
કોર્ટે અરજી રદ્દ કરતા કહ્યું કે, જો અમે જુલુસ કાઢવાની મંજૂરી આપશું તો તેનાથી અરાજકતા ફેલાશે અને પછી એક સમુદાયને વિશેષ કોરોના ફેલાવવાના નામ પર નિશાન બનાવવામાં આવશે, જે સુપ્રીમ કોર્ટ ઈચ્છશે નહીં. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, એવો કોઈ આદેશ નહીં આપે જેનાથી લોકોના સ્વાસ્થ્યને ખતરો હોય. ચીફ જસ્ટિસ એસએ બોબડેની પીઠે કહ્યુ કે, મોહરમ જુલુસ માટે કોઈ સ્પષ્ટ સ્થાન નથી, જ્યાં પ્રતિબંધ કે સાવધાની રાખી શકાય.
જગન્નાથપુરી રથયાત્રાનો પણ આપ્યો હવાલો
કોર્ટે અરજીકર્તાના વકીલે જગન્નાથપુરી યાત્રાની દલીલ આપી તો કોર્ટે કહ્યું કે, તમે દેશભરમાં મંજૂરી માગી રહ્યાં હતા. જગન્નાથપુરીની યાત્રા એક ખાસ જગ્યાએ થાય છે, જ્યાં રથ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જો કોઈ એક જગ્યાની વાત હોત તો અમે ખતરાનો અંદાજ લગાવી મંજૂરી આપી શકતા હતા.