મુખ્ય સમાચાર
News of Saturday, 27th November 2021

ભારત પાસેથી કાલાપાની, લિમ્પિયાધુરા પાછા લેવાશે

નેપાળના પૂર્વ વડાપ્રધાન ઓલીનું દેશને વચન : ભારત-નેપાળ બંને કાલાપાની પોતાના ક્ષેત્રનું અભિન્ન અંગ હોવાનો દાવો કરે છે, કોલીનું આ ક્ષેત્રો પાછા લેવાનું વચન

કાઠમંડુ, તા.૨૭ : નેપાળના પૂર્વ વડાપ્રધાન અને મુખ્ય વિપક્ષી દળ સીપીએન-યુએમએલના અધ્યક્ષ કે પી શર્મા ઓલીએ શુક્રવારે વચન આપ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવી તો તેઓ ભારત પાસેથી કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ વિસ્તારો ભારત પાસેથી વાતચીત દ્વારા પરત લેશે. લિપુક્ષેત્ર કાલાપાની પાસેનું પશ્ચિમી બિંદુ છે, જે નેપાળ અને ભારત વચ્ચેનો વિવાદિત સરહદી વિસ્તાર છે. ભારત અને નેપાળ બંને કાલાપાની પોતાના ક્ષેત્રનું અભિન્ન અંગ હોવાનો દાવો કરે છે. ભારત ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ભાગ તરીકે અને નેપાળ ધારચૂલા જિલ્લાના ભાગ તરીકે તેના પર દાવો કરે છે.

કાઠમાંડૂથી ૧૮૦ કિમી દૂર દક્ષિણ ભાગમાં આવેલા ચિતવનમાં નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના ૧૦મા સંમેલનનું ઉદ્ઘાટન કરતા સમયે ઓલીએ કહ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો તેઓ ભારત સાથે વાતચીતના માધ્યમથી કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ જેવા વિવાદિત ક્ષેત્રોને પરત લેશે. તેમણે કહ્યું હતું કે, 'અમે વાતચીત દ્વારા સમસ્યાઓનું સમાધાન કરવામાં માનીએ છીએ, પાડોશી દેશોને દુશ્મન બનાવીને નહીં'.

ઓલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સીપીએન-યુએમએલ આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવશે. ભારતે ૮ મે, ૨૦૨૦ના રોજ ઉત્તરાખંડના લિપુલેખને ધારચૂલા સાથે જોડતા ૮૦ કિમી લાંબા રસ્તાને ખોલ્યા બાદ દ્ધિપક્ષીય સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા હતા. નેપાળે રસ્તાના ઉદ્ઘાટનનો વિરોધ કરતાં દાવો કર્યો હતો કે, આ તેમના ક્ષેત્રમાંથી પસાર થાય છે. થોડા દિવસ બાદ, નેપાળ લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાને પોતાના ક્ષેત્રમાં દેખાડતો એક નવો નક્શો લઈને આવ્યું હતું. ભારતે આ પગલા પર તીખી પ્રતિક્રિયા પણ આપી હતી.

પોતાના સંબંધમાં ઓલીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી નેપાળની સ્વતંત્રતા અને રક્ષા માટે પ્રતિબદ્ધ છે.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતા વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ તમામ પાર્ટીને દેશના વિકાસ માટે એકસાથે આવવા અને હાથ મેળવવાનો આગ્રહ કર્યો હતો. સંમેલનની સફળતાની કામના કરતાં કહ્યું હતું કે, 'હવે સમય આવી ગયો છે કે, આપણે તમામ દેશના વિકાસ માટે આગળ વધીએ'.

નેપાળના નેતાઓ સિવાય, બાંગ્લાદેશ, ભારત, કંબોડિયા અને શ્રીલંકા સહિતના અલગ-અલગ દેશોની પાર્ટીના નેતાએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી હર્ષપવર્ધન પણ સામેલ થયા હતા.

(7:51 pm IST)