દક્ષિણ નાઈજીરીયામાં ચર્ચના એક કાર્યક્રમમાં આશરે 31 લોકોના મોત: ઘણા લોકો ઘાયલ
પોર્ટ હરકોર્ટ શહેરમાં એક ચર્ચમાં ભોજનના વિતરણ દરમિયાન ભાગદોડ મચી
દક્ષિણ નાઈજીરિયામાંચર્ચના એક કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી જવાથી ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે,અનેક લોકો ઘાયલ થયા છે, પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ દક્ષિણ નાઈજીરિયાના પોર્ટ હરકોર્ટ શહેરમાં એક ચર્ચમાં ભોજનના વિતરણ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ સ્થળના ગેટ પર જ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આ ભીડમાં કેટલાક લોકોને જમીન પર ધકેલી દેવામાં આવ્યા હતા અને કેટલાક લોકો કચડીને માર્યા ગયા હતા.
રિવર સ્ટેટ પોલીસના પ્રવક્તા ગ્રેસ ઈરિંજ-કોકોએ જણાવ્યું હતું કે શનિવારે વહેલી સવારે ચર્ચમાં ભોજન લેવા માટે પહોંચેલા સેંકડો લોકો એક ગેટ તોડીને અંદર ઘૂસી ગયા હતા, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. પ્રવક્તાએ વધુમાં કહ્યું ‘કેટલાક લોકો અહીં પહેલાથી જ હાજર હતા અને કેટલાક લોકો પાછળથી એકઠા થઈ ગયા અને દોડવા લાગ્યા, જેના કારણે અહીં ભાગદોડ મચી ગઈ. પોલીસે સ્થિતિને કાબુમાં લીધી છે અને આ બાબતે તપાસ ચાલી રહી છે.