મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને કોર્ટે આપી મોટી રાહત : IIFA 2022 માટે અબૂ ધાબી જવા મંજૂરી
. જેકલીન 7 દિવસ માટે અબુ ધાબીના પ્રવાસે જશે; તે 31 મેથી 6 જૂન સુધી અબુ ધાબીમાં રહેશે.
મુંબઈ :મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને કોર્ટે અબુ ધાબી જવાની મંજૂરી આપી છે. હવે તે અબુ ધાબીમાં યોજાનાર આઈફા એવોર્ડ 2022માં ભાગ લઈ શકશે. જેકલીને આ અંગે કોર્ટ પાસેથી પરવાનગી લીધી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે 31 મેથી 6 જૂન સુધી અબુ ધાબીમાં રહેશે. આ પહેલા આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં જેકલીને દિલ્હી કોર્ટમાં અરજી આપી હતી અને તેણે 15 દિવસ માટે અબુ ધાબી જવાની પરવાનગી માંગી હતી, જેથી તે આઈફા એવોર્ડ 2022માં ભાગ લઈ શકે. આ સિવાય તેણે ફ્રાન્સ અને નેપાળ માટે પણ પરવાનગી માંગી હતી.
જેકલીન ફર્નાન્ડીઝને હવે અબુ ધાબીમાં યોજાનાર IIFA 2022 માટે કોર્ટ દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જેકલીન 7 દિવસ માટે અબુ ધાબીના પ્રવાસે જશે.
જોકે, જેક્લિને વિદેશ પ્રવાસની પરવાનગી માગ્યાના એક સપ્તાહમાં જ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. થોડા દિવસ પહેલા આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આઈફા એવોર્ડ જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. તે અબુ ધાબીના યસ આઈલેન્ડ પર 19 મેથી 21 મે દરમિયાન યોજાવાનો હતો. વાસ્તવમાં, આ પગલું UAEના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના મૃત્યુ અને ત્યારપછીના 40 દિવસના શોક પછી આવ્યું છે. જો કે હવે લાગે છે કે આ એવોર્ડ શો ટૂંક સમયમાં શરૂ થવાનો છે.
જેકલીન ફર્નાન્ડિઝ કોનમેન સુકેશ ચંદ્રશેખરની ધરપકડ બાદથી મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી છે અને તપાસમાં જેક્લીનનું નામ સામે આવતાં જ તેની વિરુદ્ધ સક્રિય ‘લુક આઉટ સર્ક્યુલર’ શરૂ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ તેને થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન તેને વિદેશ પ્રવાસની મંજૂરી ન હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અત્યાર સુધીમાં જેકલીન ફર્નાન્ડીઝની 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઠગ સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન પણ હંમેશા રડાર પર છે. એજન્સીના અનુમાન મુજબ સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને 5.71 કરોડ રૂપિયાની ભેટ આપી હતી અને તેના પરિવારના સભ્યોને લગભગ $1,73,000 અને 27 હજાર ઓસ્ટ્રેલિયન ડૉલરની લોન પણ આપી હતી.