શિવસેનાના 14 સાંસદ એકનાથ શિંદે અને ભાજપ બંનેના સંપર્કમાં : મોટી ઊથલપાથલના એંધાણ
શિંદેનું શિવસેના પાર્ટી અને તેના ચૂંટણી ચિહ્ન પર દાવો વધુ મજબૂત બની જશે
મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે. સુત્રો પાસેથી મળતા સમાચાર અનુસાર શિવસેનાના 14 સાંસદ એકનાથ શિંદે અને ભાજપ બન્નેના સંપર્કમાં છે. બીજી તરફ એનસીપીના પ્રમુખ શરદ પવાર પણ બેઠક કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગુવાહાટીમાં રહેલા શિંદેએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે તેમના જૂથમાં ઠાકરે સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત લઇ લીધુ છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે મહારાષ્ટ્રની સરકાર લઘુમતીમાં આવી ગઇ છે.
શિવસેનાના લોકસભામાં કુલ 19 સાંસદ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાંથી 14 ભાજપ અને શિંદે બન્નેના સંપર્કમાં છે. જો આવુ થાય છે તો પછી શિંદેનું શિવસેના પાર્ટી અને તેના ચૂંટણી ચિહ્ન પર દાવો વધુ મજબૂત બની જશે. શિવસેનાના સીનિયર નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકાર વિરૂદ્ધ શરૂ થયેલા બળવાને એક અઠવાડિયુ પૂર્ણ થઇ રહ્યુ છે, તેના 36થી વધુ ધારાસભ્યોના સર્મથનનો દાવો છે. બન્ને પક્ષ પોતાના વલણ પર અડગ છે અને લાંબી લડાઇ માટે તૈયાર જોવા મળી રહ્યા છે.
આ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે શિવસેનાના અડધાથી વધુ બળવાખોર ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે, તેમણે કહ્યુ, અડધાથી વધારે બળવાખોર ધારાસભ્ય અમારા સંપર્કમાં છે, તે ત્યા છુપાયેલા છે..તે અમારૂ સમર્થન કરે છે અને તે પરત આવશે.
મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ પણ દાવો કર્યો છે કે 15-16 ધારાસભ્ય તેમના સંપર્કમાં છે. સોમવારે તેમણે કહ્યુ હતુ, ગુવાહાટીમાં ધારાસભ્યોના બે ગ્રુપ છે. 15-16 લોકોનું એક ગ્રુપ અમારા સંપર્કમાં છે. કેટલાક લોકો સાથે અત્યારે વાત થઇ છે. બીજો તે જૂથ છે જે ફરાર છે.