મુખ્ય સમાચાર
News of Friday, 28th August 2020

હૈદરાબાદમાં આકાર લઇ રહ્યું છે વૈષ્ણવ સંત ' રામાનુજાચાર્ય ' નું ભવ્ય મંદિર : 1000 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારું મંદિર 'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ' નામથી ઓળખાશે : ગિનિસ બુકમાં નોંધ લેવાઈ : મંદિરીના ગર્ભગૃહમાં સ્વામી રામાનુજાચાર્યની 120 કિલો સોનાની મૂર્તિ પધરાવાશે

હૈદરાબાદ : વૈષ્ણવ સંત ' રામાનુજાચાર્ય ' નું ભવ્ય મંદિર હૈદરાબાદમાં આકાર લઇ રહ્યું છે. ભારતમાં પહેલીવાર સમાનતાની વાત કરનાર વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામીના જન્મને 1000 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જેમની સ્મૃતિ કાયમ રાખવા માટે 1000 કરોડથી વધારે ખર્ચમાં મંદિર તૈયાર થશે. મંદિરની ખાસિયત છે કે, અહીં રામાનુજાચાર્યની બે મૂર્તિઓ હશે અને બંને જ ખાસ રહેશે.

પહેલી મૂર્તિ અષ્ટધાતુની 216 ફૂટ ઊંચી છે, જે સ્થાપિત કરવામાં આવી છે, તેને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે. બીજી મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે, જે 120 કિલો સોનાથી બનેલી હશે. હૈદરાબાદથી લગભગ 40 કિમી દૂર રામનગરમાં બની રહેલાં આ મંદિરની અનેક ખાસિયત છે.

સનાતન પરંપરાના કોઇપણ સંત માટે હાલ આટલું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું નથી. રામાનુજાચાર્ય સ્વામી પહલાં એવા સંત છે, જેમની આટલી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મંદિરનું નિર્માણ 2014મા શરૂ થયું હતું. રામાનુજાચાર્યની વિશાળ પ્રતિમા ચીનમાં બનેલી છે. જેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા છે. આ અષ્ટધાતુથી બનેલી સૌથી મોટી પ્રતિમા છે. તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.

રામાનુજાચાર્ય 120 વર્ષ જીવ્યા હતાં, એટલે 120 કિલો સોનાની મૂર્તિઃ-રામાનુજાચાર્યની 120 કિલો સોનાથી બનેલી મૂર્તિ પાછળ એક વિશેષ કારણ છે. મંદિરના સંસ્થાપક ચિન્ના જિયાર સ્વામીના જણાવ્યાં પ્રમાણે, રામાનુજાચાર્ય સ્વામી ધરતી ઉપર 120 વર્ષ સુધી જીવિત રહ્યા હતાં, એટલે 120 કિલો સોનાથી બનેલી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે.

રામાનુજાચાર્ય સ્વામીએ સૌથી પહેલાં સમાનતાનો સંદેશ આપ્યો હતો. સમાજમાં તેમના યોગદાનને આજ સુધી તે સ્થાન મળી શક્યું નથી, જેના તેઓ હકદાર હતાં. આ મંદિર દ્વારા તેમનું સમાન નિર્માણમાં રચનાત્મક યોગદાન દર્શાવવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી અને રામાનુજાચાર્ય ટેમ્પલ 45 એકર જમીન ઉપર બનાવવામાં આવી રહ્યું છે. મંદિરનું મૂળ ભવન લગભગ 1.5 લાખ સ્ક્વેયર ફૂટના ક્ષેત્રમાં બની રહ્યું છે. જે 58 ફૂટ ઊંચું છે. તેના ઉપર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી રાખવામાં આવી છે. આ મંદિરમાં લગભગ 25 કરોડની કિંમતના મ્યૂઝિકલ ફાઉન્ટેન લગાવવામાં આવશે. તેમના દ્વારા પણ સ્વામી રામાનુજાચાર્યની ગાથા સંભળાવવામાં આવશે.

(11:38 am IST)