મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

ભાજપે કરી જાહેરાતઃ બિહારથી સુશીલ કુમાર મોદી બન્યા રાજયસભાના ઉમેદવાર

પટના,તા.૨૮: બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી ને ભાજપે રાજયસભાના ઉમેદવાર બનાવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધનથી સીટ ખાલી થયા બાદ ભાજપે સુશીલ મોદીને બિહારથી ઉમેદવાર બનાવ્યા છે. સંજય મયૂખે આ વાતની જાણકારી આપી છે.

૧૪ ડિસેમ્બરના રોજ રાજયસભા સીટ યોજાવવાની છે. ૩ ડિસેમ્બરથી રાજયસભા ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થશે. સુશીલ મોદી બિહારના રાજકારણમાં દ્યણા દાયકાઓથી સક્રિય છે. ગત ૧૫ વર્ષોથી તે સતત બિહારના ઉપમુખ્યમંત્રી  હતા અને એમએલસી પણ છે. આ વખતે વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે તેમને ઉપમુખ્યમંત્રી ના બનાવીને તારાકિશોર પ્રસાદ અને રેનુ દેવીને બનાવ્યા છે.

૩ ડિસેમ્બર સુધી ઉમેદવારી ભરવાની રહેશે અને ૪ ડિસેમ્બરના રોજ સ્ક્રૂટની કરવામાં આવશે. ઉમેદવારે સાત ડિસેમ્બરના રોજ પોતાની દાવેદારી પરત લઇ શકે છે. જરૂરિયાત પડતાં ૧૪ ડિસેમ્બરના રોજ મતદાન થશે. ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે. તો બીજી તરફ સુશીલ મોદીનું રાજયસભામાં જવું ફાઇનલ ગણવામાં આવે છે.

સુશીલ મોદી આજે પણ બિહારના રાજકારણમાં પ્રાસંગિક બનેલા છે. પાર્ટીની અંદર અને બહાર બંને જગ્યા આજે પણ કોઇ સુશીલ મોદીનો કિલ્લો તોડી શકયું નથી. સૂત્રો તો એમ પણ કહે છે કે જો ભાજપની અંદર થોડો પણ નીતીશ કુમાર વિરૂદ્ઘ અવાજ ઉઠે છે તો સુશીલ મોદી આગળ આવીને ઉભા થઇ જાય છે.

(9:41 am IST)