મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

બીજેપીએ મારા પરિવાર પર હુમલો કર્યો છે : ઉદ્ધવ ઠાકરે

હું તેમના સ્તર પર ન જઈ શકું : મહારાષ્ટ્રના સીએમ : મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકારમાં ઠાકરેએ આક્ષેપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરથી મદદ કરી રહી નથી

મુંબઈ,તા.૨૮ : મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધનવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોરોના કાળમાં અને સામાન્ય દિવસોમાં સરકાર ચલાવવી અલગ વાત છે. ૬૦ વર્ષીય ઠાકરેએ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે સપ્ટેમ્બરમાં રાજ્યમાં પીપીઈ કિટ્સ અને એન-૯૫ માસ્ક ન મળ્યા, જે કારણે અમારા પર આર્થિક ભાર વધી ગયો છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર પાસે અમારા ૩૮ હજાર કરોડ રૂપિયા બાકી છે, પરંતુ હજુ સુધી નથી મળ્યા. ઠાકરેએ કહ્યું કે નિસર્ગ વાવાઝોડું, વિદર્ભમાં પૂર અને ભારે વરસાદ જેવી કુદરતી મુશ્કેલીમાં પણ કેન્દ્ર સરકારે મદદ નથી કરી. ઇન્ટરવ્યૂમાં ભાજપા દ્વારા સરકાર પાડી દેવાના કરવામાં આવતા દાવા સાથે જોડાયેલા સવાલ પર ઠાકરેએ કહ્યુ કે, એ લોકોને અંદાજ લગાવવા દો. તેઓ વ્યસ્ત અને ખુશ છે. 

           તેમની ખુશી અને વ્યસ્તતાને બરબાર નથી કરવા માંગતો. કોરોના વેક્સીન સાથે જોડાયેલા સવાલ પર ઠાકરેએ કહ્યુ કે, આપણે એક યોજના બનાવવાની જરૂરી છે, કારણ કે રસી બનાવતી કંપની પાંચ છે. તેને કેટલા તાપમાન હેઠળ રાખવાની છે? કેટલા ડોઝ જરૂરી છે સહિતની કોઈ માહિતી સ્પષ્ટ નથી. જીએસટી અંગેના સવાલ પર મુખ્યમંત્રીએ કહ્યુ કે જીએસટી આવ્યો ત્યારે અમે બીએમસીના માધ્યમથી કેટલાક સવાલો ઊઠાવ્યા હતા. દાત મુંબઈના કર મામલે એક વિશેષ દરજ્જો આપવામાં આવે. શહેરના વિકાસ માટે મુંબઈને વધારાની મદદ મળવી જોઈએ.

         જો જીએસટીમાં કોઈ ખામી છે તો તેને ફૂલપ્રૂફ બનાવો. જો આવું શક્ય ન હોય તો ટેક્સ અંગે જૂની વ્યવસ્થા લાગૂ કરવી જોઇએ. જો કોઈ વસ્તુને કેન્દ્રીય બનાવીને તમામ (રાજ્યો)ને ન્યાય નથી આપવામાં આવતો તો તેનો કોઈ મતલબ નથી. ઠાકરેએ કહ્યુ કે, હું ક્યારેય વ્યક્તિગત હુમલો નથી કરતો અને દુર્ભાવનાપૂર્ણ ઈરાદા સાથે પણ નથી બોલતો. બીજેપીએ મારા પરીવાર પર દુશ્મનોની જેમ હુમલો કર્યો છે. જ્યારે અમે તેમની સાથે હતા ત્યારે અમે તેમના માટે સારા હતા. અમે તેમના માટે પ્રચાર કરતા હતા, અમારા વગર તેમને મતો ન મળતા. હવે તેઓ અમારા પરિવાર પર હુમલા કરી રહ્યા છે, તેમની રાજનીતિ દુષિત છે. હું તેમના સ્તર પર ક્યારેય ન જઈ શકું.

(7:26 pm IST)