૨૧ વર્ષથી છૂટાછેડા માટે લડી રહેલા કપલ્સને જજે ફકત એક એવી વાત કહી કે તેઓ રાજીખુશીથી સાથે રહેવા સહમત થયા
નવી દિલ્હી તા. ૨૯ : સુપ્રીમ કોર્ટે બુધવારે પરંપરાને આગળ વધારવા માટે કંઈક એવું કર્યુ જેનાથી ૨૧ વર્ષથી છૂટાછેડા માટે મથી રહેલા દંપત્ત્િ। એક ઝાટકે જ સાથે રહેવા માટે રાજી થઈ ગયા. સુપ્રીમ કોર્ટની પહેલ પર દહેજ ઉત્પીડનના મામલામાં પતિને સંભળાવવામાં આવેલી જેલની સજા લંબાવાની અરજી પાછી લેવા પર સહમત થઈ ગયા. આ અગાઉ બંનેની વચ્ચે મધ્યસ્થતાની તમામ કોશિશો નિષ્ફળ રહી હતી.
મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની અધ્યક્ષતાવાળી પીઠે પતિ અને પત્નીને વીડિયો કોન્ફરન્સ દ્વારા સામસામે સંવાદ કરાવાની કોશિશ કરી. આ પીઠમાં ન્યાયમૂર્તિ સૂર્યકાંત પણ શામેલ હતાં.
મહિલા ઉચ્ચ અદાલતની કામકાજની ભાષા અંગ્રેજીમાં થોડી અસહજ હતી. આવા સમયે મુખ્ય ન્યાયાધીશે જાતે જ તેલુગુ ભાષામાં વાતચીત કરી અને સાથી ન્યાયાધીશોને પણ તેના વિશે જણાવ્યું.
પતિની સજા વધારવા માટે કોર્ટના શરણે પહોંચેલી મહિલાને સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, જો આપનો પતિ જેલમાં જશે, તો આપને માસિક ભથ્થુ પણ મળશે નહીં, કારણ કે તેની નોકરી જતી રહેશે.આપને તેનાથી શું મળશે.
આંધ્ર પ્રદેશ સરકારના કર્મચારી અને ગુંટુરમાં તૈનાત પતિ તરફથી દલિલ કરી રહેલા વકીલ ડી રામકૃષ્ણાએ કહ્યુ કે, મુખ્ય ન્યાયાધીશે મહિલાને તેલુગુમાં કાયદાની સ્થિતી બતાવી અને સ્પષ્ટ કર્યુ કે, કેદની સજા વધવાથી પતિ-પત્નિ બંનેને નુકસાન થશે.
જજ સાહેબે જણાવ્યુ કે, જો જેલની સજા વધારવામાં આવે તો, આપને શું મળશે. આપનું માસિક ભથ્થુ પણ અટકાઈ જશે.
મહિલાએ મુખ્ય ન્યાયાધીશની સલાહ શાંતિથી સાંભળી અને ત્યાર બાદ પતિ સાથે રહેવા માટે સહમત થઈ ગઈ. શરત એ હતી કે, તેમના એક માત્ર દિકરાને સારી રીતે દેખરેખ રાખે.
કોર્ટે પતિ-પત્નિને બે અઠવાડીયામાં અલગ અલગ એફિડેવિટ દાખલ કરવાનું કહ્યુ છે. જેમાં ઉલ્લેખ હોય કે, બંને સાથે રહેવા માગે છે. પત્ની સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ઘ કોર્ટમાં દાખલ અપીલ પાછી લેવા અને પતિ વિરુદ્ઘ દહેજ ઉત્પીડનનો કેસ ખતમ કરવાની અરજી પર સહમત થઈ ગઈ. આ સાથે પતિ સામે છૂટાછેડાની અરજી પણ પાછી ખેંચી લીધી.
અહીં ઉલ્લેખનીય છે કે, દંપતિના લગ્ન ૧૯૯૮માં થયા હતા. પણ બંનેના સંબંધોમાં જલ્દી ખટાશ આવી ગઈ, જેના કારણે મહિલાએ ૨૦૦૧માં પતિ વિરુદ્ઘ ગુનાહિત કેસ દાખલ કર્યો. બંને વચ્ચે મધ્યસ્થતાની કેટલીય કોશિશ કરી પણ નિષ્ફળ રહી. જો કે હવે બંને સાથે રહેવા લાગ્યા છે.