કોંગ્રેસ પાર્ટીમાં વધી રહ્યો છે કલેશ : અસંતુષ્ટ નેતાઓ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ
અસંતુષ્ટ નેતાઓ ટુંક સમયમાં પોતાની વ્યૂહરચના ઘડવા માટે બીજી બેઠક યોજી શકે છે
નવી દિલ્હી તા. ૨૯ : કોંગ્રેસમાં વિવાદ અત્યારે સ્થિર થવાનું નામ નથી લઈ રહ્યો. પાર્ટીની અંદર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓ સામે માંગણી ઉભા કરવામાં આવી છે. પક્ષના ઘણા નેતાઓનું માનવું છે કે પત્રોના મામલે હાઈકમાન્ડે તાત્કાલિક કડક વલણ અપનાવવું જોઈએ અને કડક સંદેશ આપવો જોઈએ. દરમિયાન, એવા સંકેત મળી રહ્યા છે કે અસંતુષ્ટ નેતાઓ ટૂંક સમયમાં પોતાની વ્યૂહરચના ઘડવા માટે બીજી બેઠક યોજી શકે છે.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વ જે રીતે આ વિવાદ સાથે વ્યવહાર કરે છે, અસંતુષ્ટ નેતાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં સાત કલાક ચર્ચા કર્યા પછી પણ પાર્ટીના અધ્યક્ષ દ્વારા બધુ ભૂલાવી દેવાની વિનંતીઓ પછી પણ દલીલ કરી રહ્યા છે. તેથી, પાર્ટીએ આ મામલે તાત્કાલિક કડક પગલા ભરવા જોઈએ.
સીડબલ્યુસીએ પત્ર લખનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. સોમવારે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ પાર્ટીએ નારાજ નેતાઓને સંસદ સંબંધિત નિર્ણયોમાં સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. લોકસભામાં પાર્ટીએ મનીષ તિવારી અને શશીથુરુરને કોઈ સ્થાન આપ્યું નથી, જયારે રાજયસભામાં, વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ અને ઉપનેતા આનંદ શર્માના કદને ઘટાડીને પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. સમિતિમાં અહેમદ પટેલ, જયરામ રમેશ અને કેસી વેણુગોપાલ પણ શામેલ છે. રાજયસભામાં પક્ષના નિર્ણયો આઝાદ અને આનંદ શર્મા લેતા હતા.
બીજી તરફ નારાજ નેતાઓ પણ અનુભૂતિ કરી રહ્યા છે કે પાર્ટી તેમની માંગણીઓ તરફ ધ્યાન આપી નથી રહી. પત્રમાં આપેલા સૂચનોનું પાલન કરવાને બદલે પાર્ટીમાં જ તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં નારાજ નેતાઓ રણનીતિ નક્કી કરવા ટૂંક સમયમાં મળી શકે છે. નારાજ એક નેતાએ કહ્યું કે અમે પાર્ટીની રાહ જોઇ રહ્યા છીએ. વ્યૂહરચના નક્કી કરવા અમે ટૂંક સમયમાં મળીશું.