છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૦૨૧ લોકોનાં મોતઃ ૭૬ હજારથી વધારે નવા કેસ નોંધાયા
દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૪.૬૩ લાખ પર પહોંચીઃ કોરોનાને કારણે અત્યાર સુધી દેશમાં ૬૨,૫૫૦ લોકોનાં મોત થયા
નવી દિલ્હી, તા.૨૯: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના ૭૬,૪૭૨ કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૪,૬૩,૯૭૨ પર પહોંચી છે. દેશમાં ૨૪ કલાક દરમિયાન ૬૫,૦૫૦ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધી દેશમાં કોરોનાથી ૨૬,૪૮,૯૯૮ લોકો સાજા થયા છે. દેશમાં સાજા થવાનો દર ૭૬.૫ ટકા થયો છે.
હાલ દેશમાં ૭,૫૨,૪૨૪ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાને કારણે ૧,૦૨૧ દર્દીનાં મોત થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ મોતની સંખ્યા ૬૨,૫૫૦ પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯,૨૮,૭૬૧ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જે આગલા દિવસની સરખામણીમાં ૨૭,૪૨૩ વધારે હતા. દેશમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકમાં ૧૦૦થી વધારે મોત નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં સૌથી વધારે ૩૩૧ લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૨૪ કલાક દરમિયાન ૨૩,૭૭૫ નવા કેસ નોંધાયા છે.