મુખ્ય સમાચાર
News of Saturday, 29th August 2020

ત્રીજા દિવસે દેશમાં કોરોનાના કેસોમાં ૭૬૦૦૦નો વધારો

૨૪ કલાકમાં વધુ ૧૦૨૧ દર્દીઓનાં મોત : દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૦૫૦ દર્દીઓ સ્વસ્થ્ય થયા : આ આંક વધીને ૨૬૪૮૯૯૮ સુધી પહોંચી ગયો

નવી દિલ્હી, તા. ૨૯ : ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના આંકડામાં સૌથી તેજ ઉછાળો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારે કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૩૪ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૭૬૪૭૨ કેસ નોંધાતા કુલ આંકડો ૩૪૬૩૯૭૨ સુધી પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨૧ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૨૫૫૦ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૭૫૨૪૨૪ એક્ટિવ કેસ છે. ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

                     ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૦૫૦ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૬૪૮૯૯૮ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે. વિશ્વમાં કોરોના વાયરસના હજુ સુધીમાં ૨૪૭૨૫૯૦૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૩૬૮૧૪ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૬૧૮૬૨૮૬ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૭૦૨૮૦૩ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત-ચોથા સ્થાન પર રશિયા છે.

(9:07 pm IST)