બીજા દિવસે સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહમાં હંગામો
૧૨ સાંસદને સસ્પેન્ડ કરવાનો મુદ્દો ગુંજ્યો : પોતાના આચરણ બદલ સાંસદો માફી નહી માગે ત્યાં સુધી તેમનું સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવેઃ વૈંકેયા
નવી દિલ્હી, તા.૩૦ : સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં હંગામો ચાલુ રહ્યો છે.લોકસભામાં નવા સાંસદોએ ભારે બૂમાબૂમ વચ્ચે શપથ લીધા હતા. રાજ્યસભામાં કોંગ્રેસે ૧૨ સાંસદોના સસ્પેન્શનનનો મુ્દ્દો ઉઠાવ્યો હતો.કોંગ્રેસના નેતા મલિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે, આ ઘટના તો સંસદના ગયા સત્રમાં બની હતી અને આ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કેવી રીતે કરી શકાય...સસ્પેન્શન પાછુ ખેંચાવુ જોઈએ.તેના પર રાજ્યસભા અધ્યક્ષ એમ વૈકેયા નાયડુએ કહ્યુ હતુ કે, સસ્પેન્શનનો નિર્ણય ગૃહનો છે.મારો નહીં.૧૦ ઓગસ્ટે અમે હંગામો કરી રહેલા સાંસદોને તેમની સીટ પર જવા માટે કહ્યુ હતુ. દરમિયાન વૈંકેયા નાયડુએ એમ પણ કહ્યુ હતુ કે, જ્યાં સુધી પોતાના આચરણ બદલ સાંસદો માફી નહી માંગે ત્યાં સુધી તેમનુ સસ્પેન્શન પાછુ ખેંચવામાં નહીં આવે.નાયડુએ આજે સસ્પેન્શન પર હંગામો કરી રહેલા સાંસદોને પણ તેમના પર કાર્યવાહી કરવાની વોર્નિંગ આપી હતી. દરમિયાન લોકસભામાં પણ હંગામા બાદ બે વાગ્યા સુધી લોકસભાને પણ સ્થગિત કરી દેવામાં આવી છે.