CCSUના અભ્યાસક્રમમાં યોગી-રામદેવના યોગ સામેલ
નવા અભ્યાસક્રમ પર મંજૂરીની મહોર
નવી દિલ્હી : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હઠ યોગનું સ્વરૂપ અને સાધના તથા બાબા રામદેવની યોગ સાધના અને યોગ ચિકિત્સાનું રહસ્ય પુસ્તક હવે દર્શનશાસ્ત્રના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને યોગના દર્શન કરાવશે. ઉર્દુના ગીતકાર કુંવર બેચેન અને શાયર બશીર બદ્રનું સાહિત્ય હિંદીમાં વાંચવા મળશે.
બીએસસીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને હવે પહેલા વર્ષે જ આર્યભટ્ટ જેવા વૈજ્ઞાનિકો અંગે ભણાવવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સત્ર ૨૦૨૧-૨૨ માટે યોજાયેલી બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકમાં નવા અભ્યાસક્રમ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
હિંદીના પાઠ્યપુસ્તકમાં પશ્ચિમ યુપીના ૭ સાહિત્યકારોના ગીત-ગઝલ સામેલ કરવામાં આવ્યા છે. કેમ્પસમાં નવા સત્રથી બીએ ઉર્દુ કોર્સ પણ શરૂ થઈ જશે. બીએ ઉર્દુના નવા અભ્યાસક્રમમાં ગીતકાર કુંવર બેચેન, શાયર ઈસ્માઈલ મેરઠી, શાયર બશીર બદ્ર, સાહિત્યકાર વિષ્ણુ પ્રભાકર અને સુદામા પાંડે 'ધૂમિલ'ની રચનાઓ ભણાવવામાં આવશે.