મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

સંજયને તકલીફ વધવાના લીધે મુંબઇમાં સારવાર કરાવશે

સારવાર માટે સંજય અમેરિકા-સિંગાપોર જવાનો હતો : સંજયને ચોથા સ્ટેજનું લંગ કેન્સર છે, સ્થિતિ ખુબ ગંભીર છે અને સારવારમાં વિલંબથી ઘણુ નુકશાન થઇ શકે છે

મુંબઈ,તા.૩૧: થોડા દિવસો પહેલા બૉલિવૂડ એક્ટર સંજય દત્તની તબિયત અચાનક બગડી ગઈ હતી. સંજય શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જ્યારબાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો જ્યાં ટેસ્ટ કરતા જાણવા મળ્યું કે, તેને ફેફસાંનું કેન્સર છે. ત્યારબાદથી કહેવામાં આવી રહ્યું હતું કે, સંજય ટૂંક સમયમાં સારવાર કરાવવા વિદેશ જઈ શકે છે પણ હવે રિપોર્ટ સામે આવી રહ્યા છે કે, તે મુંબઈમાં જ પોતાની સારવાર કરાવશે. કહેવામાં આવી રહ્યું છે કે, સંજય દત્તને ચોથા સ્ટેજનું લંગ કેન્સર છે.

તેની સ્થિતિ ખૂબ ગંભીર છે અને સારવારમાં વિલંબથી ઘણું નુકસાન થઈ શકે છે. સંજય સતત હોસ્પિટલ જઈ રહ્યો છે અને કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેના ફેફસામાંથી ૧.૫ લીટર ફ્લૂઈડ કાઢવામાં આવ્યું છે. સંજયની આવી સ્થિતિને જોતા તેની સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં શરૂ થઈ શકે છે. આના પહેલા માન્યતા દત્તે પણ સંજય વિશે હેલ્થ અપડેટ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'અમને જે પણ લોકો પૂછી રહ્યા છે તેમને હું જણાવવા માગીશ કે, સંજય મુંબઈમાં પોતાની પ્રાથમિક સારવાર પૂરી કરશે. અમે આગળનું પ્લાનિંગ કોવિડની સ્થિતિમાં સુધારો થયા બાદ તૈયાર કરીશું. અત્યારે સંજૂ કોકિલાબેન હોસ્પિટલમાં અમારા સૌથી સન્માનિત ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે. હું બધાને હાથ જોડીને આગ્રહ કરું છું કે, તેની બીમારીના સ્ટેજ અંગે અનુમાન ન લગાવે અને ડૉક્ટર્સને પોતાનું કામ કરવા દે. અમે તેમની પ્રોગ્રેસ પર તમને બધાને નિયમિત રીતે અપડેટ કરતા રહીશું.

(3:42 pm IST)