જમ્મુ-કાશ્મીરમાં હવે ૨૦૦થી ઓછા આતંકીઓ સક્રિય છે
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે સેનાનું ઓપરેશન જારી : ત્રણ દાયકામાં આવું પહેલી વખત જોવા મળ્યું, આ વર્ષે ૧૨૮ સ્થાનિક યુવાનો આતંકી સંગઠનોમાં સામેલ થયા
નવી દિલ્હી, તા.૩૦ : જમ્મુ કાશ્મીરના કાશ્મીર ખીણ વિસ્તારમાં ગણતરીના દિવસોમાં જ ૬ આતંકીઓનો સફાયો કરીને સુરક્ષાદળોએ મોટી સફળતા મેળવી છે.
જમ્મુ કાશ્મીર પોલીસ વડાએ એ પછી જાણકારી આપતા કહ્યુ હતુ કે, હાલમાં કાશ્મીર ખીણમાં ૨૦૦ કરતા ઓછા આતંકીઓ સક્રિય છે.છેલ્લા ત્રણ દાયકામાં આવુ પહેલી વખત જોવા મળ્યુ છે. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરના સ્થાનિક લોકોની આતંકી સંગઠનોમાં ભરતી ઓછી થવા માંડી છે. હાલમાં આ સંખ્યામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે.આ વર્ષે ૧૨૮ સ્થાનિક યુવાનો આતંકી સંગઠનોમાં સામેલ થયા હતા અને તેમાંથી ૭૩ માર્યા ગયા છે અને ૩૯ જ બચ્યા છે. તેમના કહેવા પ્રમાણે હાલમાં કાશ્મીરમાં ૨૦૦ કરતા ઓછા આતંકીઓ સક્રિય છે.તેમાંથી ૮૬ સ્થાનિક છે અને બાકીના વિદેશી છે.અહીંયા સંતાયેલા વિદેશી આતંકીઓ બહાર આવવા માટે મજબૂર બની ગયા છે.કારણકે સ્થાનિક લોકો હવે તેમની મદદ કરવાનીના પાડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જૈશ એ મહોમ્મદના છ આતંકીઓને અલગ અલગ ઘટનાઓમાં સુરક્ષાદળોએ ઢાળી દીધા છે.આતંક સામેના જંગમાં આ એક મહત્વપૂર્ણ સફળતા સુરક્ષાદળોને મળી છે.