શરદી-ખાંસી અને તાવવાળા લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો કેન્દ્રનો આદેશ :દેશમાં કોરોના અને ઓમિક્રોનની વિકટ સ્થિતિ
કેન્દ્ર સરકારે રાજ્યોને નવા આદેશ જારી કરીને તાબડતોબ પગલાં ભરવાનું જણાવ્યું : આરએટી બૂથ સ્થાપિત કરવાનો પણ રાજ્યોને આદેશ
નવી દિલ્હી : ભારતમાં હવે ઓમિક્રોનથી સ્થિતિ ભયાનક બનતી જાય છે. રાજ્યોએ હવે તાબડતોબ કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિ આવી છે. જરા સરખી ભૂલ કે લાપરવાહી હવે મોટી આફત લાવશે તે નક્કી છે. આવી સ્થિતિથી ચિંતિત કેન્દ્ર સરકારે એક અઠવાડિયામાં ચોથી વાર રાજ્યોને નિર્દેશ આપીને તાબડતોબ પગલાં ભરવાનું જણાવ્યું છે. શુક્રવારે ફરી એક વાર કેન્દ્ર સરકારે રાજ્યોને પાઠવેલા નવા આદેશમાં જણાવ્યું છે કે જે લોકોને શરદી-ખાંસી, ગળામાં ખરાબી અને તાવ હોય, તો તેમને કોરોના સંદિગ્ધ માનવામાં આવે અને તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તથા ICMRના ડીજી બલરામ ભાર્ગવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લેટર લખીને નિર્દેશ આપ્યો છે કે તાત્કાલિક આરએટી બૂથ સ્થાપિત કરીને તથા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને સામેલ કરો તથા ઘરેલુ ટેસ્ટ કિટના ઉપયોગ કરવાની જરુર છે. દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક તથા ઝારખંડને પાઠવેલા પત્રમાં કેટલીક આગોતરી તૈયારી કરી રાખવાનો ઓર્ડર આપ્યો છે. રાજેશ ભુષણે લખેલા પત્રમાં એવું જણાવાયું છે કે રાજ્યોએ કોરોના ટેસ્ટિંગ વધારીને હોસ્પિટલોમાં જરુરુ સુવિધાઓ તૈયારી રાખવી પડશે તથા વેક્સિનેશનમાં ઝડપ લાવવી પડશે.