રાજકોટના લોહાણા ઉદ્યોગપતિએ શ્રીલંકાની પ્રીમીયર લીગની કોલંબો ક્રિકેટ ટીમની હિસ્સેદારી ખરીદી
પ્રિતેશભાઈ અનડકટે ફરી એકવાર રાજકોટનું નામ વિદેશની ધરતી ઉપર રોશન કર્યુ
(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૧ :. મૂળ રાજકોટના અને હાલ દુબઈ રહેતા લોહાણા વેપારી પ્રિતેશભાઈ અનડકટે શ્રીલંકા પ્રિમીયર લીગની કોલંબો ક્રિકેટ ટીમની ૫૦ ટકા હિસ્સેદારી ખરીદી લેતા વધુ એક વખત રાજકોટનું નામ રોશન થયુ છે.
આ અંગે માહિતી આપતા પ્રિતેશભાઈ અનડકટે જણાવ્યુ હતુ કે શ્રીલંકા પ્રિમીયર લીગની બહુચર્ચિત કોલંબો ક્રિકેટ ટીમની ૫૦ ટકા હિસ્સેદારી મે ખરીદી છે. જેની ડોકયુમેન્ટની તમામ પ્રક્રિયાઓ પણ પુરી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પ્રિતેશભાઈ અનડકટ થોડા વર્ષો પહેલા રાજકોટથી દુબઈ સ્થાયી થયા છે, જ્યાં ટૂંકાગાળામાં તેમણે વ્યવસાય ક્ષેત્રે આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
થોડા વખત પહેલા તેમણે દુબઈ ખાતે રોયલ પ્રિમીયર લીગના નામથી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરેલ અને આગામી ૨૬ માર્ચથી ૧૦ એપ્રિલ સુધી એ-૨૦ નામથી દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં ભવ્ય ટૂર્નામેન્ટનું આયોજન કર્યુ છે.
કોલંબો ટીમમાં પ્રિતેશભાઈ અનડકટ દ્વારા હિસ્સેદારી ખરીદતા પ્રિતેશભાઈ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.