Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજકોટમાં ૩ હજારથી વધુ કોરોના યોધ્ધાઓએ વેકસીન લીધી

ગઇકાલે ૪પ સ્થળોએ અને આજે ર૭ સ્થળોએ વેકસીનેસન આપવાની કામગીરી કરવામાં આવી

રાજકોટ તા. ૧ : કોરોના કાળમાં જેમણે અથાગ મહેનત કરી છે તેવા આરોગ્ય કર્મીઓ, મેડીકલ સ્ટાફને પ્રથમ તબકકામાં કોરોના સામેની વેકસીન આપવામાં આવી છે દરમ્યાન બીજા તબકકામાં કોરોના કાળમાં દિવસ-રાત ફરજ બજાવતા ૩ હજારની વધુ રાજકોટ મહાનગરપાલીકા રેવન્યુ વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓને ગઇકાલે તા.૩૧ ના રોજ કોરોના વેકસીન આપવામાં આવી હતી.

મ્યુનિસીપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે સવારે ૯ વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી, તેમની ઓફીસ ખાતે કોરોના સામેની વેકસીન લીધી હતી એવી જ રીતે જિલ્લા કલેકટર તેમની ઓફીસ ખાતે કોરોના સામેની વેકસીન લીધી હતી. એવી જ રીતે જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહીતના અધિકારીઓને કર્મચારીઓ તેમજ રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનરશ્રીઓ સિટી એન્જિનીયરશ્રીઓ, સહાયક કમિશનરશ્રીઓ, અન્ય કર્મચારીઓ અને સફાઇ કામદારો સહિતના કુલ ૩ર૬૯ ફ્રન્ટલાઇન વર્કર્સ અધિકારીઓ, કર્મચારીઓને આજે તા. ૩૧ જાન્યુઆરીના રોજ કોરોના સામેની વેકસીન આપવામાં આવી હતી.

દરમ્યાન વેકસીનેસન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે ૯ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધી શહેરમાંં ૪પ સ્થળોએ ઉપરોકત અધિકારીઓ અને કર્મચારીઓને વેકસીન આપવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાંની કોઇને ગંભીર સાઇડ ઇફેકટ નથી જો કે અમુક કર્મચારીઓએ તાવ અને માથાના દુઃખાવાની તથા અશકિતથી ફરીયાદ કરી હતી.

આજે બપોર સુધીમાં ૮૦ર લોકોએ વેકસીન લીધી

આજે બપોરના ૧ વાગ્યા સુધીમાં શહેરના અલગ-અલગ ર૭ સ્થળોએ ૮૦ર લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી હતી.

(2:57 pm IST)