Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રોજમદાર કર્મચારીઓ નિવૃત થયા તારીખ સુધીની ગ્રેચ્યુટી મેળવવા હકકદાર છે : ચુકાદો

રાજકોટ,તા. ૧: ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ -૧૯૭૨ની મેન્ડેટરી જોગવાઇઓ મુજબ માર્ગ અને મકાન / સિંચાઇ વિભાગના રોજમદાર કામદાર /કર્મચારી તરીકે નોકરીમાં દાખલ થયાની નિવૃત થયા તારીખ સુધીના રોજમદાર સમયગાળા સાથેની સળંગ નોકરીના ગ્રેચ્યુઇટીની રકમ, વ્યાજ, શરૂઆતથી મેળવવા કામદારો કાયદાકીય હકકદાર છે. તેમ શ્રી એ.કે. શિહોરા, નિયંત્રણ અધિકારીશ્રી અને મદદનીશ શ્રમ આયુકતશ્રી રાજકોટે ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ -૧૯૭૨ હેઠળ મહત્વનો ચુકાદો આપેલ છે.

ગુજરાત સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ -ગાંધીનગરના તાબા હેઠળની રાજકોટની કચેરીઓ (૧) કાર્યપાલક ઇજનેરશ્રી, યાંત્રિક, માર્ગ અને મકાન વિભાગ ૭/૭ બહુમાળી ભવન, સેવાસદન -૨ રાજકોટ. (૨) નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી યાંત્રિક, માર્ગ અને મકાન, પેટા વિભાગ નંબર-૧ પ્રાદેશીક વર્કશોપ, આર.ટી.આઇ સામે ભાવનગર રોડ, રાજકોટમાં શ્રી અમૃતભાઇ હરજીભાઇ ખરાડી રોજમદાર ચોકીદાર તરીકે તા. ૨૮/૧૦/૧૯૮૨થી નોકરીમાં દાખલ થયેલ. કર્મચારી તારીખ ૩૦ -૬-૨૦૧૯ના રોજ નિવૃત થયેલા. સંસ્થાએ ૧૧ વર્ષ પછી કાયમી થયેલા સમયગાળાના મળવાપાત્ર હકક હસ્સિાઓ ચુકવેલ હતા. પરંતુ રોજમદાર સમયગાળાની આગલા ૧૧ વર્ષની મળવાપાત્ર ગ્રેચ્યુઇટી રકમ, વ્યાજ અનેક વખત રૂબરૂ સંસ્થા પાસે માંગણીઓ કરવા છતા ના ચુકવતા ના છુટકે ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ -૧૯૭૨ હેઠળ નિયંત્રણ અધિકારીશ્રી અને મદદનીશ શ્રમ આયુકતશ્રી રાજકોટ સમક્ષ કર્મચારીએ નમુનો 'એન'માં અરજી કરી સામાવાળાઓ પાસેથી ગ્રેચ્યુઇટીની રકમ, વ્યાજ સાથે મેળવવા શ્રી આર.પી.શાહ પ્રતિનિધી મારફત ગ્રેચ્યુઇટી કેસથી દાદ માંગેલ.

નિયંત્રણ અધિકારીશ્રી રાજકોટે ઉપરોકત બન્ને પક્ષકારોની રજુઆત, લેખીત તથા મૌખિક દલીલો અને રજુ થયેલા આધાર પુરાવાઓ, દસ્તાવેજોને આધારે ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ -૧૯૭૨ એકટની જોગવાઇઓના આધારે કામદારોની તરફેણમાં ફોર્મ 'આર' (નિયમ-૧૬) ગ્રેચ્યુઇટી રકમ ચુકવવા માટેની નોટીસથી તારીખ ૨૨/૧/૨૦૨૧ના રોજ કર્મચારી અમૃતભાઇ હરજીભાઇ ખરાડીને તેમની બાકી લ્હેણી નીકળતી ગ્રેચ્યુઇટીની રકમ રૂ. ૨,૦૧,૮૫૮ તા. ૧/૮/૨૦૧૯થી જે તારીખે ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવામાં આવે ત્યાં સુધીના સમયગાળા માટે ૧૦ % લેખે સાદા વ્યાજ સહીત કલમ -૮ની જોગવાઇ મુજબ દિન-૩૦માં ચુકવવાનો આદેશ / હુકમ નિયંત્રણ અધિકારીશ્રીએ , કર્મચારીની તરફેણમાં મહત્વનો ચુકાદો આપેલ છે.

નિયંત્રણ અધિકારીશ્રી સમક્ષ કર્મચારી વતી પ્રતિનિધી તરીકે શ્રી આર.પી. શાહ હાજર રહી રજુઆતો કરેલ હતી.

(2:58 pm IST)