Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

નવયુગપરા શિલ્પાબેન માલકીયા બે બાળકો સાથે લાપતા

પતિ સાથે થયેલી નજીવી બોલાચાલી કારણભૂત

રાજકોટ,તા. ૧: રામનાથપરા જુની જેલ પાસે નવયુગપરામાં રહેતી મહિલા ત્રણ દિવસ પહેલા બે સંતાનો સાથે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ નવયુગપરા શેરી નં. ૩માં રહેતા ભરતભાઇ નારણભાઇ માલકીયા ગત તા. ૨૯/૧ ના રોજ માધાપર ચોકડી પાસે સિમેન્ટના કારખાને મજૂરી કામે ગયા હતા. બાદ સાંજે પરત આવ્યા ત્યારે પત્ની શીલ્પા (ઉવ.૩૦), પુત્ર અંકુશ (ઉવ.૬) અને પુત્રી ધારા (ઉવ.૨) ઘરમાં જોવા ન મળતા પોતે તેની મોટી દીકરી એન્જલને પુછતા તેણે જણાવેલ કે 'મારા મમ્મી નાના ભાઇ -બહેનનું ખાતુ ખોલાવી આવુ' કહી બપોરે જતા રહેલ છે. તેમ જણાવતા ભરતભાઇએ આસપાસ અને સગાસંબંધીને ત્યાં તપાસ કરતા ત્રણેયનો કોઇ પતો ન લાગતા તેણે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુમની જાણ કરતા એ.એસ.આઇ ભરતસિંહ ગોહીલ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં ગત તા. ૨૯મીએ સવારે પોતે નોકરીએ જતા હતા. ત્યારે પત્ની શીલ્પાને ચા બનાવવાનું કહેતા તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ હોવાનું ભરતભાઇ માલકીયાએ જણાવ્યું હતું. જો કોઇને આ મહિલા અને બે બાળકો જોવા મળે તો મોબાઇલ નંબર ૯૫૮૬૮ ૨૧૯૫૩ અને ૯૦૧૬૬ ૧૦૦૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:01 pm IST)