Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગોંડલમાં વ્‍યાજ-મુદલ રકમ આપ્‍યા છતાં પઠાણી ઉઘરાણી કરનાર પ વ્‍યાજખોરો સામે ફરીયાદ

ગીરવે મુકેલ મકાનનો દસ્‍તાવેજ, સોનુ અને ચેક પાછા ન આપ્‍યા : નયન ભરવાડ, શીવભદ્રસિંહ વાઘેલા, સુરજીત કાઠી, ચિરાગ લશ્‍કરી અને સહદેવસિંહ સામે ગુન્‍હો નોંધાયો

રાજકોટ, તા., ૧:  ગોંડલમાં વ્‍યાજ અને મુદલ રકમ આપ્‍યા છતા પઠાણી ઉઘરાણી કરી ગીરવે મુકેલ મકાનનો દસ્‍તાવેજ, સોનુ અને કોરા ચેક પાછા ન આપનાર પાંચ વ્‍યાજખોરો સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ દરબાર ચોકમાં વચલી શેરીમાં રહેતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઇ ઉપાધ્‍યાયએ નયન ભરવાડ (રહે. વોરા કોટડા રોડ, વિજયનગર પાસે-ગોંડલ), શિવભદ્રસિંહ વાઘેલા (રહે. બંધીયા, તા.ગોંડલ), સુરજીત કાઠી (રહે. તક્ષશીલા સોસાયટી, ગોંડલ), ચિરાગ લશ્‍કરી (રહે. નાની બજાર, આર્યા શેરી-ગોંડલ) તથા સહદેવસિંહ જાડેજા (રહે. ગાયત્રીનગર, ગોંડલ) સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના પુત્ર આરોપી નયન ભરવાડ પાસેથી ૬ લાખ  ઉંચા વ્‍યાજે લીધેલ અને વ્‍યાજ તથા મુદલ સહીત ૯.૩૦ લાખ ચુકવી દીધેલ હોવા છતા નયન ભરવાડ ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી મકાનનો દસ્‍તાવેજ પરત આપેલ નથી. તેમજ આરોપી નં. ર શિવભદ્રસિંહ વાઘેલા પાસેથી ફરીયાદીના પુત્રએ ૧ર લાખ ઉંચા વ્‍યાજે લીધેલ. વ્‍યાજ અને મુદલ સહીત ૧પ લાખ ચુકવી આપેલ હોવા છતાં શિવભદ્રસિંહ કોરા ચેક તેમજ કોરા સ્‍ટેમ્‍પ પરત નહી આપી. ધમકી આપી પઠાણી ઉઘરાણી કરે છે. તેમજ સુરજીત કાઠી પાસેથી ફરીયાદીના દિકરાએ ર.પ૦ લાખ ૧૦ ટકા વ્‍યાજે લીધેલ વ્‍યાજ અને મુદલ સહીત ૪ લાખ ચુકવી દીધેલ હોવા છતા સુરજીત કાઠી મકાનની ફાઇલ પરત ન આપી પતાવી દેવાની ધમકી આપે છે. આરોપી નં. ૪ ચિરાગ લશ્‍કરી પાસેથી ર લાખ ૧ર ટકા વ્‍યાજે લીધેલ. વ્‍યાજ અને મુદલ સહીત પ.પ૦ લાખ ચુકવી દીધેલ હોવા છતા  રૂપીયાની પઠાણી ઉઘરાણી કરે છે અને સહદેવસિંહ જાડેજા પાસેથી ર.પ૦ લાખ ૯ ટકા વ્‍યાજે લીધા બાદ મુદલ અને વ્‍યાજ સહીત ૪.પ૦ લાખ ચુકવી દીધેલ હોવા છતા તેમની પાસે ગીરવે મુકેલ ૧૦ તોલા સોનુ પરત નહી આપી ફરીયાદી તથા ફરીયાદીના પુત્રને ધમકી આપતા હોવાનું જણાવ્‍યું છે.

આ ફરીયાદ અન્‍વયે ગોંડલ પોલીસે ઉકત પાંચેય વ્‍યાજખોરો સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)