Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કાલે વિજયભાઇ રૂપાણી જન્મદિને વિડીયો કોન્ફરન્સથી ૭૧મો વનમહોત્સવ શરૂ કરાવશે

આજી ડેમ અર્બન ફોરેસ્ટ ખાતે ગણપત વસાવા, રમણલાલ પાટકર વગેરે મંત્રીઓ સાંસદ મોહનભાઇ કુંડારિયા તથા ધારાસભ્યોની ઉપસ્થિતીમાં મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટન કાર્યક્રમ

રાજકોટ,તા.૧: કલેકટર અને વનીકરણ સમિતિ ચેરમેન રેમ્યા મોહન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સામાજીક વનીકરણ નાયબ વન સંરક્ષક પી.ટી. શિયાણી, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી એક સંયુકત યાદીમાં જણાવે છે કે, તા.૨જી ઓગષ્ટ ૨૦૨૦ના રોજ મુખ્યમંત્રીના જન્મદિને અર્બન ફોરેસ્ટ આજીડેમ પાછળ સવારના ૧૦:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજય કક્ષાના ૭૧માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન યોજાશે. જેમાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવા, વન અને આદિજાતિ વિકાસ રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકર જોડાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર તેમજ કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેશે.

શહેરમાં હરિયાળીનો વ્યાપ વધે તે માટે રાજકોટ મહાનગરપાલિકા કામગીરી હાથ ધરી રહી છે. ૨જી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રીના જન્મ દિવસે તેઓશ્રીના વરદ હસ્તે અર્બન ફોરેસ્ટનો શુભારંભ કરવામાં આવેલ. અર્બન ફોરેસ્ટની ગ્રીન બેલ્ટ હેતુની કુલ ૧૫૬.૧૬ એ.ગુ. જમીન સરકારશ્રી દ્વારા ફાળવણી કરવામાં આવેલ છે. જે પૈકી ૪૭ એકર ખુલ્લી જમીનમાં પ્રારંભિક તબક્કે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિકના વનના નિર્માણની કામગીરી હાથ ધરાશે. જેમાં 'તીર્થકર વન', નક્ષત્ર વન, અને રાશી વન' માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ 'ઔષધિય વન'ના ભાગો વિકસિત વન વિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. આ જગ્યામાં ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુળતા ધરાવતા અંદાજ જુદી જુદી ૫૫ થી ૬૦ વિવિધ જાતના અંદાજે ૫૫૦૦૦થી વધુ જેટલી સંખ્યામાં ઓછા નીભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્રીઝ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ-પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવશે.

ગત તા.૧૪જુલાઇના રોજ માન.મુખ્યમંત્રીના વરદ હસ્તે રૂ.૭.૬૯ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવેલ. જેમાં અર્બન ફોરેસ્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ, એડમીન ઓફીસ, સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ, પાણીના પરબ, ટોઇલેટ બ્લોકસ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એકઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ, જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ, આકર્ષક એન્ટ્રી ગેઈટ, જુદા જુદા પ્રકારના પ્લાન્ટેશન માટે બ્લોકસ, વિશાળ એરિયામાં પાર્કિંગ વિગેરે સુવિધા ઉપલબ્ધ કરાશે.

આ ઉપરાંત આગામી દિવસોમાં ખડકાળ ભાગોએ 'બહુહેતુક લેન્ડ સ્કેપિંગ & ગાર્ડનિંગ' કરી ટુંકા ભવિષ્યમાં લોક સુવિધાઓ અપાવના આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત બહુ હેતુક આયામની પ્રતીતિ કરાવતા સ્કલ્પચર્સ, એન્ટ્રન્સ ગેઇટ્સ, બેઠક વ્યવસ્થા, ગજેબોસ વિગેરે સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

(3:39 pm IST)