Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સીટી બસની ટિકીટ મોબાઇલ-એપથી મળશે : વોર્ડ ઓફિસેથી જન્મ-મૃત્યુ પ્રમાણપત્રો મળશે : નવી ત્રણ સેવાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

રાજકોટ, તા. ર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવેલ, ઉપરાંત  રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ નવી સેવાઓ (૧) પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, (૨) જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ અને (૩) તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર આપવાની પ્રણાલીનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.

જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટેની મોબાઈલ – એપ

શહેર માટેની જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, કે જે મોબાઇલ એપ થકી મુસાફરોને પરિવહન સેવાઓ હેઠળની તમામ બસના રૂટ તથા સમય પત્રકની માહિતી તેઓના મોબાઇલ પર સરળતાથી મળી શકશે તેમજ શહેરના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ઉપલબ્ધ બસની ટીકીટ મોબાઇલ એપ થકી મેળવી શકાશે.

GIS ઈનેબલ્ડ સિટિઝન પોર્ટલ – (gis.rmc.gov.in )

રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી. દ્વારા પાન સિટી ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત GIS (Geographic Information System) પ્રોજેકટ હેઠળ સિટીઝન પોર્ટલ (gis.rmc.gov.in) બનાવવામાં આવેલ છે. આ સિટિઝન પોર્ટલમાં હાઈ રીઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પ્રોજેકટ અંતર્ગત GPR (Ground Penitration Radar) ટેકનોલોજી નાં ઉપયોગ વડે શહેરના ૪,૦૦૦ (ચાર હજાર) કલોમીટર રસ્તાઓની નીચે રહેલ વિવિધ પ્રકાર ની યુટિલિટી  જેવી કે પાણી ની પાઈપ લાઈન, ડ્રેનેજ પાઈપ લાઈન , જુદા જુદા કેબલ નેટવર્ક  વિગેરેનો સર્વે કરી મેપ પર પ્લોટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોર્ટલ પરથી નીચે મુજબની વિવિધ પ્રકારની માહિતીઓ જેવી કે ઝોન બાઉન્ડ્રી, વોર્ડ બાઉન્ડ્રી, વોર્ડઓફિસ, શાળાઓ, હોકર્સઝોન, શહેરી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, ઉદ્યાનો અને બગીચાઓ, geo-tagged કરેલા મિલકત, રસ્તાઓ,  રોડ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, સ્ટોર્મ વોટર, અંડર ગ્રાઉન્ડ નેટવર્ક , ટી.પી.સ્કીમ્સ, સિટી સર્વે બાઉન્ડ્રી અને સિટી સર્વે નંબર, રેવન્યુ સર્વે બાઉન્ડ્રી અને નંબર, અસલ પ્લોટ વિગતો, અંતિમ પ્લોટ વિગતો, એફ-ફોર્મ વિગતો વિગેરે મેળવી શકાશે.

જન્મ મરણનાં દાખલાઓ વોર્ડ કક્ષાએથી મળવાનો શુભારંભ

રાજકોટના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રો હાલમાં ઝોનલ કચેરી પર આપવામાં આવે છે. શહેરીજનોને પોતાના ઘરની નજીક  વોર્ડ પરથીજ જન્મ-મરણના પ્રમાણ પત્ર મળી રહે તેમાટે રાજકોટ મહાનગરપાલીકાની ઝોનલ કચેરી  ઉપરાંત તમામ ૧૮ વોર્ડ ઓફીસેથી જ જન્મ-મરણના દાખલા તથા તેમાં સુધારા અને આં ઉપરાંત જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ દાખલ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે. 

(4:39 pm IST)