Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સ્વ. પ્રવીણભાઈ મણીઆરની જન્મજયંતિએ સેવા કાર્યો

રાજકોટ : સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ રાજકોટના સ્થાપક તેમજ સરસ્વતી શિશુમંદિરના પૂર્વ ચેરમેન સ્વ. પ્રવીણભાઈ મણીઆરની ૮૬મી જન્મજયંતિ નિમિતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલની મારૂતિનગર, રણછોડનગર, નવા થોરાળા અને જસદણની ડી.એસ.વી.કે શાળાઓમાં આરોગ્યપ્રદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરસ્વતી વિદ્યામંદિર સંકુલની રાજકોટ - જસદણ સ્થિત ચારેય શાળાઓમાં  પણ આયુર્વેદિક ઉકાળા વિતરણ તેમજ રાજકોટની રણછોડનગરમાં આવેલી સરસ્વતી શિશુમંદિરમાં માસ્ક વિતરણ તેમજ જસદણની સરસ્વતી શિશુમંદિરમાં વૃક્ષારોપણના કાર્યક્રમો હાથ ધરાયા છે. આ તકે સ્વ. પ્રવીણકાકાના પુત્ર અને સરસ્વતી શિશુમંદિર સંસ્થાના વર્તમાન ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકર તરીકે પ્રવીણકાકાએ પૂર, અછત, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડુ, પ્લેગ જેવી કુદરતી આફતો વખતે અડિખમ ઉભા રહી અદ્વિતીય સમાજ સેવા કરી છે. આજે જયારે કોરોના વાયરસ નામની આફત આપણા સૌને તકલીફ આપી રહી છે ત્યારે મારા પપ્પા સ્વ. પ્રવીણકાકાના જન્મદિવસ નિમિતે સેવા દિન સ્વરૂપે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આરોગ્યવર્ધક ઉકાળા આજથી ત્રણ દિવસ સુધી અમારી શાળાઓમાંથી વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત વીવીપી પરિવાર દ્વારા વૃધ્ધાશ્રમ, પાંજરાપોળમાં અનુદાન, દર્દી નારાયણ, દરિદ્ર નારાયણ, પશુ-પક્ષી નારાયણની સેવા દ્વારા સેવા દિનની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, રેસકોર્સ પાર્કના આગેવાન જયંતીભાઈ પરસાણા, ભારત વિકાસ પરિષદના ભૂપેનભાઈ ડોબરિયા, સ્ત્રી સશકિતકરણ પ્રવૃત્ત્િ।ઓના યુવા મહિલા આગેવાન, કુ. મીનળબા ગોહિલ, સરસ્વતી શિશુમંદિર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, સંસ્થાના કો.ઓર્ડિનેટર ટ્રસ્ટી અનિલભાઈ કિંગર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(2:59 pm IST)