Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

૬૦ વર્ષના ૧૨ વૃધ્ધોએ આપી કોરોનાને માત

ઉંમર મોટી છે...એવું વિચારી ભય ન રાખો, ચોક્કસ કોરોનામુકત થશોઃ દમયંતિબેન પંડ્યા

રાજકોટ તા. ૨ : કોરોનાને બેરંગ કરવા રંગીલા રાજકોટવાસીઓ બુલંદ હોંસલા અને સકારાત્મકતા સાથે કોરોના સામે લડાઈ લડી રહ્યા છે. જેનો સફળ દાખલો રાજકોટના ૬૦ વર્ષના ૧૨ વયોવૃધ્ધ વ્યકિતઓએ બેસાડ્યો છે. મોટી ઉંમર, ડાયાબીટીસ અને બી.પી છે તેવા ભયથી ડર્યા વગર સમયસર સારવાર લઈને સંપૂર્ણ સ્વસ્થ થતાં ૧૨ વૃધ્ધ લોકો આજે અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે.

સુરેશ દલાલના મસ્તીના મિજાજ સાથે ઘડપણનું જીવન જીવવાની સકારાત્મક બાજુને રજુ કરતી કાવ્યની પંકિતના 'મરણ આવે ત્યારે વાત, અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત'ના શબ્દોને ૬૨ વર્ષીય દમયંતીબેન પંડ્યાએ સાચા અર્થમાં સાર્થક કર્યા છે.

એકમદ સ્વસ્થ થઈને દિકરા અને વહુની સેવાનો લાભ લઈ રહેલા દમયંતીબેનએ સમરસ કોવીડ કેર સેન્ટરમાં મળેલી સારવાર અંગે જણાવતા કહ્યું હતું કે, 'હું ૬૨ વર્ષની છું તો શું? અરે હું શું કોઈપણ ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોય તો શું? ૧૧ દિવસની સારવાર લીધા બાદ, ત્યાંના આરોગ્ય કર્મીઓની સેવાને જોયા બાદ એટલું જ કહીશ કે, સારવાર લેવા જતી પહેલા મનમાંથી તો 'હું મોટી ઉંમરનો છુંંં એ ભાવ કાઢીને જ જવું. જો એ કાઢીને ગયાં તો સમજો તમે કોરોનાથી એ જ ક્ષણે મુકત થઈ જશો. ઘરમાં પણ રોજ પલંગના ઓછાડ ધોવા નથી કાઢતા પણ સમરસમાં રોજ દર્દીઓના ઓછાડ ધોવામાં આવે છે. વડીલોની માવતર બનીને સેવા કરતાં દિકરા-દિકરીને આશીર્વાદ આપ્યા વગર તમે ત્યાંથી નીકળી જ ન શકો તેવું માનવીય વાતાવરણ ત્યાંના દર્દીઓને આપવામાં આવે છે.'

દમયંતીબેનની જેમ રાજકોટ સિવિલમાંથી સમરસ કોવીડ કેરમાં સારવાર લઈને પોતાના વતન અમરેલી પરત ફરેલા ૭૫ બળદેવભાઈ મહેતાએ ગદગદીત સ્વરે કહ્યું હતું કે, 'હું મારા ૬૭ વર્ષીય પત્ની કૈલાશબેન સાથે સારવાર અર્થે સમરસ કોવીડ કેર સેન્ટરમાં દાખલ થયાં હતા. મારા પત્નીનું બી.પી. ડાઉન થતાં ત્યાંના મેડકીલ સ્ટાફે માત્ર ૩૦ મિનિટની અંદર તેનું સ્વાસ્થ્ય નોર્મલ કર્યું હતું. પી.પી.ઈ.કીટમાં નિતરતાં દર્દીઓમાંથી અમને પ્રેરણા મળતી કે જીવનમાં કશું મુશ્કેલ અને કાયમી નથી. બસ જરૂર છે તો પોતાના પર દ્રઢ વિશ્વાસ રાખવાની.'

દમયંતીબેન અને બળદેવભાઈની જેમ અન્ય ૧૨ વયોવૃધ્ધ વ્યકિતઓ તેમના આત્મવિશ્વાસ અને આરોગ્ય કર્મીઓની યોગ્ય સારવારથી એકદમ તરોતાજા થઈને પોતાના સ્નેહીજનો પાસે પરત ફર્યા છે. જે પરથી સાબિત થાય છે કે, ઉંમરના ભયને વધારવા કરતાં મનના મનોબળને વધારશું તો અવશ્ય કોરોનામાંથી બહાર આવશું.

(1:25 pm IST)