Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દિવાળીના તહેવારો-જાહેર રજાઓમાં ઝૂ-ગાંધી મ્યુઝીયમ ખુલ્લા રહેશે

ઝૂમાં સવારે ૯ થી ૫:૩૦ તથા મ્યુઝીયમ સવારે ૧૦ થી ૬ સુધીનોઃપ્રદિપ ડવ, પુષ્કર પટેલ, અમિત અરોરા, અનિતાબેન ગોસ્વામીની જાહેરાત

રાજકોટ,તા. ૨ : સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક અને પર્યાવરણની સમતુલા જળવાય એ મુજબ વિકાસ કરવામાં આવેલ છે. જેથી રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રભરનાં પ્રવાસીઓ માટે હરવા-ફરવાની સાથોસાથ  જ્ઞાન-ગમ્મત માટેનુ ખુબજ ઉત્ત્।મ સ્થળ બની ગયેલ છે. તા. ૫ શુક્રવારના રોજ મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્લુ રહેશે. તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા અને ગાર્ડન અને ઝૂ કમિટી ચેરમેન અનીતાબેન ગોસ્વામી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં જાહેર રજાના દિવસોમાં પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમ મુલાકાતીઓ માટે ચાલુ રહેશે.આ અંગે મેયર, સ્ટે.ચેરમેન, ઝુ કમિટી ચેરમેન, મ્યુ.કમિશ્નરે જણાવ્યુ હતુ કે જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન અસંખ્ય મુલાકાતીઓ ઝૂ ખાતે પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે દિવાળી થી લાભપાંચમ સુધીમાં અંદાજિત ૬૦,૦૦૦ મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે આવતા હોય છે. નિયમિત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે નુતન વર્ષના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુવિધા માટે અને મુલાકાતીઓ નુતન વર્ષનાં દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.૫ નવેમ્બર શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે. ઝૂ નો સમય સવારે ૯.૦૦ વાગ્યાથી સાંજના ૫.૩૦ (એન્ટ્રી ટિકિટ મેળવવા) રહેશે,  પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનરઅમિત અરોરા અને ગાર્ડન અને ઝું કમિટી ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૭ પ્રજાતિઓનાં કુલ ૪૫૬ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાદ્ય, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયન રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતિઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.

આ ઉપરાંત મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતી મળી રહે અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઇન્ટરપ્રિટેશન સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ગેલેરીઓ જેવી કે; પ્રાણીસંગ્રહાલય ગેલેરી, ગીરની ઝાંખી, કચ્છની ઝાંખી, સસ્તન પ્રાણીઓની ગેલેરી, પક્ષી ગેલેરી, સરિસૃપ ગેલેરી વિગેરે બનાવી વન્યપ્રાણી-પક્ષીઓનાં લાઇફ સાઇઝ મોડેલ્સ, ઇન્ટરેકટીવ એકટીવીટી તથા વિવિધ માહિતી દર્શાવતી પેનલ્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવિત થાય છે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ રહેશે

દિવાળીના તહેવારોમાં જાહેર રજાના દિવસોમાં પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમ મુલાકાતીઓ માટે ચાલુ રહેશે અને મ્યુઝિયમનો સમય (ટિકિટ મેળવવા માટે) સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ સુધીનો રહેશે.

(3:18 pm IST)