Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સેવા અને સ્મરણનો સંદેશો લઇને આવેલા સંત એટલે પુનિત મહારાજ : કાલે પુણ્યતિથિ

માનવ સેવા એ જ પ્રભુ સેવાનો રાહ ચીંધનાર ભારતીય સંસ્કૃતિના આદ્ય જયોર્તિધર

સંત જનેતા ગુજરાતની ધરા જેના પણ અનેક સંતો અને ભકતોએ જન્મ ધારણ કરી ગુજરાતની ધરતીને વધુ ગરવી બનાવી છે. ઈશ્વર સ્મરણ અને જનસેવાનો ભેખ લઈને અવતરેલા આ સંતોએ આજના આ હળાહળ કળિયુગમાં પ્રભુ સ્મરણ અને સેવાની જયોત પ્રજ્વલિત કરી સનાતન ધર્મની ધજા ફરકતી રાખેલ છે. સેવા અને સ્મરણનો સંદેશો લઈને આવેલા સંતે એટલે પુનિત મહારાજ.

 માનવ માત્રમા પ્રભુ વસે છે અને એની સેવા એજ પ્રભુ સેવા એવો સરળ બોધ આપનાર સંત પુનિત મહારાજે પ્રગટાવેલ સેવાની જયોત આજેય ગુજરાતમાં ઠેર ઠેર પ્રજવલિત છે.

 ગરીબ માનવીઓને માટે અન્ન દાનથી માંડીને નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ જેવા અનેક સેવાના કાર્યો કરનાર તેમજ ભાખરીદાન અને રાહત રસોડાની પ્રેરણા આપનાર આ મહાન વિભૂતિનો જન્મ સવંત ૧૯૮૨ મા વૈશાખ વદી બીજને તા.૧૯/૦૫/૧૯૦૮ માં જુનાગઢ મુકામે થયો હતો. વાલમ બ્રાહ્મણ જ્ઞાતિમાં પિતા ભાઈશંકર અને માતા લલિતાબહેનના પરિવારમાં જન્મેલા આ દિવ્ય આત્માંને બાળપણથી જ ભકિતના સંસ્કાર તેમજ ઈશ્વર પ્રત્યેનો ગજબનો નેડો હતો. માતા પિતાએ તેનુ નામ બાલકૃષ્ણ રાખ્યુ. બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવતા, નાની વયે જ તેમનાપર કુટુંબની જવાબદારી આવી પડી હતી. બાલકૃષ્ણને મા અને પોતાનું ગુજરાન ચલાવવા માટે રેલ્વે સ્ટેશન પર હમાલીથી માંડીને અન્ય કામ કરવા પડતા, કામ કરતા કરતા તેમને ઈશ્વર સ્મરણ છોડયુ ન હતુ અને માનવ સેવા પણ ચાલું રાખી હતી. બે છેડા ભેગા કરવાની દોડાદોડીમાં શરીર તુટી જતુ. પરંતુ આ સમયે રામનામના રટણથી ગજબની શાંતિ મેળવી. એથી એમની ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા વધુને વધુ અડગ બનતી જતી હતી. ભારે મજુરી અને કામના ખૂબ જ બોજને લીધે તેમને ક્ષય રોગ લાગુ પડયો ત્યારે શ્રી રામ નામ એમના માટે ઔષધ પુરવાર થયુ હતુ. બાલકૃષ્ણ અમદાવાદ આવ્યા. મિલ મજુરીથી માંડીને અનેક કામ કર્યા. અખબારી આલમમા પણ હાથ અજમાવ્યો. નોકરી કરતા કરતા તેઓ શ્રી રાધેશ્યામ મહારાજના સંપર્કમાં આવ્યા હતા.

આમ શ્રી બાલકૃષ્ણની ભકિત, કથન શૈલી, ભજન પ્રત્યેનો અનુરાગ અને 'માનવ સેવાની મહાત્વાકાંક્ષા જોઈને શ્રી રાધેશ્યામ મહારાજે એમને 'પુનિત' નુ બિરૂદ આપ્યુ હતુ. એમના ભજનો સાંભળવા માટે ભારે ભીડ થતી. સ્વરચિત ભજનો તથા સેવાસભર વ્યાખ્યાન સાંભળવા લોકો ઠેરઠેર થી આવતા. પુનિત મહારાજે ભજનનો અનોખો વેપાર માંડયો અને આ કાર્યમાં થતી નાણાંની આવક માંથી ૧૦૦૦ વારજમીન ભેટમાં મળી હતી એ જમીન પણ   ટ્રસ્ટ બનાવી શ્રી પુનિત સેવા આશ્રમની સ્થાપના કરી, જે આજે પણ અમદાવાદ મણીનગર વિસ્તારમાં શોભી રહેલ છે. ૧૯૫૬ માં તેઓ પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયા ત્યા પણ શ્રી રામ નામનોખૂબ જ પ્રચાર કર્યો, ત્યાં ટુંકા સમયમાં છ લાખ જેવી રકમ મળી તે રકમ પોતે ન સ્વીકારતા ત્યાજ શુભ કાર્યોમાં આ રકમનો સદઉપયોગ કરવા ત્યા જ આપી દીધી.ત્યાથી પરત ફર્યા બાદ નર્મદા નદીના વિશાળ પટાંગણમાં આવેલ મોટી કોરલ ગામે શ્રી પંચકુબેશ્વર મહાદેવની જગ્યા પસંદ કરી ત્રણ વર્ષ માટે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનો નિર્ણય કર્યો. ગાયત્રી પુરશ્મરણ યજ્ઞ, મહારૂદ્ર યજ્ઞો, જ્ઞાનયજ્ઞો જેવા ધાર્મિક ઉત્સવોની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પૂ. પુનિત મહારાજે તેમના જીવનના સમયકાળ દરમ્યાન ૪૦૦૦/- જેટલા સરળ રાગ અને માનવ જીવનને સ્પર્શે તેવા સુંદર ભજનો લખેલા હતા. જે આજે પણ દરેક સંપ્રદાયમાં ખૂબ જ પ્રચલિત છે. એક દિવસ મોડી રાત્રે ભજનમાંથી પરત આવ્યા બાદ મહારાજની તબિયત લથડતા સવંત ર૦૧૮ ના અષાઢ વદી ૧૧ નેશુક્રવાર તા.૨૭/૭/૧૯૮૨ ના રાજા રણછોડને નજર સમક્ષ રાખી 'રામ....રામ....'  કરતા પંચ મહાભૂતાત્મક નશ્વર દેહનો ત્યાગ કર્યો. આવા પરમ સંતની ૫૯મી પૂણ્યતિથી રાજકોટમાં તેમજ અન્ય શહેરોમાં ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. દરેક સ્થળોએ જયોત જવલંત રાખવા માટે અનેક મંડળો સ્થાયી થયા છે. જેમાં રાજકોટમાં પુનિત સેવા સમાજ, તેમજ નામ સ્મરણ માટે પુનિત ભજન સમાજની આજે પણ ધાર્મિક પ્રવૃતિઓ ચાલુજ છે. 

  • પંચનાથ મંદિરે કાલે  ધુન-ભજન

શ્રી પુનિત ભજન સમાજના ધુન-ભજન કાલે તા.૪ને બુધવારે સાંજે ૪ થી ૮  સુધી પ.પૂ. સદગુરૂ દેવશ્રી પુનિત મહારાજની પુણ્યતિથિ નિમિતે પંચનાથ મહાદેવ મંદિરના પુનિત હોલ ખાતે રાખેલ છે.  ૪ થી ૬ અખંડ નામ સંકિર્તન ''શ્રી રામ જય રામ જય જય રામ'' ૬ થી ૮ પ.પૂ. સદગુરૂદેવશ્રી રચિત ભજનનો કાર્યક્રમ રાખેલ છે. 

(11:45 am IST)