Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

લવમેરેજ કરનાર સંજય ગોહેલને બીજી સાથે પ્રેમ થઇ જતાં પ્રથમ પત્નિને છૂટાછેડા માટે ત્રાસ અને ધમકી

મોટા મવામાં રહેતી લક્ષ્મીબેન મકવાણાની ફરિયાદ પરથી સંજય અને તેની પ્રેમિકા અનિતા વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૩: શહેરના એક દરજી યુવાને છ વર્ષ પહેલા કોડીનાર પંથકની અનુસુચીત જ્ઞાતિની યુવતિ સાથે લવમેરેજ કર્યા હતાં. હવે તેને બીજી યુવતિ સાથે પ્રેમ થઇ જતાં તેણે પ્રથમ પત્નિને છુટાછેડા માટે પ્રેમિકા બાવાજી યુવતિ સાથે મળી પ્રથમ પત્નિને ત્રાસ આપવાનું શરૂ કરતાં તેના વિરૂધ્ધ ધમકી, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો છે.

તાલુકા પોલીસે આ અંગે મુળ કોડીનાર સત્યમ્ સોાયટીના વતની અને હાલ ત્રણ-ચાર માસથી રાજકોટ કાલાવડ રોડ મોટા મવા અમૃતવિલા ફલેટ નં. ૨૦૧માં રહેતાં લક્ષ્મીબેન વા/ઓ સંજય ગોહેલ, ડો/ઓ શામજીભાઇ મકવાણા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી તેના પતિ સંજય કરસનભાઇ ગોહેલ અને તેની પ્રેમિકા અનિતા જયસુખભાઇ ગોસ્વામી વિરૂધ્ધ આઇપીસી ૪૯૮, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

લક્ષ્મીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ હું રંગોલી પાર્ક પાસે દિનદયાળ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી હતી. ત્યાં સાડા ત્રણ વર્ષ રહ્યા હતાં. હાલમાં અમૃત વિલામાં પતિ સંજય ગોહેલ, મારા બહેન ભાગ્યશ્રી સાથે રહુ છું. પતિ ડ્રાઇવીંગ કરે છે. મારા  પિતાનું નામ શામજીભાઇ ત્રિકમભાઇ મકવાણા છે. મારું માવતર કોડીનારના છાછર ગામે છે. પતિ સંજય દરજી જ્ઞાતિના છે અને હું અનુસુચીત જ્ઞાતિની છું. અમારે બંનેને વર્ષ ૨૦૧૪માં પ્રેમ થઇ જતાં અમે ત્યારે ભાગીને સુરત કામરેજમાં મહાદેવના મંદિરમાં એકબીજાને ફુલહાર કરી લગ્ન કર્યા છે. ત્યારથી પતિ-પત્નિ તરીકે રહીએ છીએ. અમારે સંતાન નથી.

ચારેક વર્ષ અમારું લગ્ન જીવન બરાબર ચાલ્યું હતું. એ પછી મારા પતિના મોબાઇલમાં એક અન્ય સ્ત્રીનો ફોટો મેં જોયો હતો. આ અંગે તેને પુછતાં તેણે તેનું નામ અનિતા જયસુખભાઇ ગોસ્વામી હોવાનું અને પોતે તેની સાથે પ્રેમમાં હોવાની વાત કરી હતી. આ કારણે અમારે પતિ-પત્નિ વચ્ચે મનદુઃખ થયું હતું. એ પછી પતિએ મને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. મેં તે સહન કર્યુ હતું. ચારેક મહિનાથી દુઃખ ત્રાસ વધી જતાં અને છુટાછેડા માટે દબાણ કરતાં તેમજ ગાળો દઇ મને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી તેમજ મારકુટ ચાલુ કરી દીધી હતી. પતિ છેલ્લા એકાદ માસથી ઘરે ઓછો આવે છે અને તે અનિતા સાથે રાજકોટમાં જ કયાંક રહે છે.

૨૬/૮ના હું અને મારી બહેન ભાગ્યશ્રી ઘરે હતાં ત્યારે સાંજે આઠેક વાગ્યે પતિ સંજય અને અનિતા આવ્યા હતાં અને મારી સાથે ઝઘડો કરી છુટાછેડા આપી દેવા કહી ગાળો દીધી હતી. તેમજ મારી જ્ઞાતિ પ્રત્યે પણ અનિતાએ જેમ તેમ કહી અપમાનીત કરી હતી અને જો હું છુટાછેડા નહિ આપું તો મને તે મારી નાંખશે તેવી ધમકી આપી હતી.

એ પછી પડોશી આવી જતાં આ બંને જતાં રહ્યા હતાં. હું ડરી ગઇ હોઇ જે તે વખતે ફરિયાદ કરી નહોતી. ૨/૯ના બુધવારે રાતે ફરીથી પતિએ ફોન કરી ગાળો દઇ છુટાછેડા નહિ આપ તો ટાંટીયા ભાંગી નાંખીશ તેમ કહી ધમકી આપતા ફરિયાદ કરવી પડી છે.  તાલુકા પીઆઇ જે. વી. ધોળા, ભરતભાઇ વનાણી સહિતે ગુનો નોંધ્યો છે. વિશેષ તપાસ એસસીએસટી સેલના એસીપીશ્રી ચલાવી રહ્યા છે.

(12:48 pm IST)