Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

દશેરાએ ભવાનીધામમાં ઐતિહાસિક શસ્ત્ર પૂજન

શૌર્યરસ છવાશે : સમસ્ત રાજપૂત સમાજ દ્વારા વઢવાણના વસ્તડીમાં પ્રેરક સમારોહ : ગુજરાતભરના સાફાધારી ૨૫૦૦૦ રાજપૂતો તલવાર સાથે શસ્ત્રપૂજનમાં પધારશે: પદ્મશ્રી જારાવરસિંહ જાદવનું વિશેષ સન્માન થશે: લોકપ્રિય કલાકાર રાજભા ગઢવી સંગીત સાથે શૌર્યરસ વહાવીને ઇતિહાસ જીવંત કરશે

ભવાનીધામના તેજસભાઇ ભટ્ટી, મનોજભાઇ ડોડિયા, પ્રિયજીતભાઇ બારડ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩ : દશેરા એટલે નકારાત્મક તાકાતો પર દિવ્ય શકિતના વિજયનો અવસર. સનાતન પરંપરામાં આ દિને શસ્ત્ર પૂજનનું મહત્વ છે. સમસ્ત રાજપૂત સમાજ દ્વારા વીરરસથી છલકતા સમારોહનું ભવ્ય આયોજન થયું છે, જેમાં ૨૫૦૦૦ રાજપૂતો પરંપરાગત ડ્રેસમાં તલવાર સાથે ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કરશે.

પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના અધ્યક્ષપદે આયોજિત સમારોહમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું વિશિષ્ટ સન્માન થશે.

સમસ્તદેશભરમાં શોર્યનું પ્રતિક અને માં ભવાનીના આશિર્વાદ સાથે ઉજવણી થતો તહેવાર વિજયાદશમીના પાવન અવસરે, આ દેશના રજવાડાની અને ગૌ બ્રાહમણ અને સંસ્કૃતિના રખેવાળ તરીકે રાજપૂતો દ્વારા પોતાના પ્રાણની આહુતી આપનાર તરીકેની ઓળખ ઉભી કરતો ઈતિહાસ ખુબ પ્રચલીત અને સ્મરણીય છે. સમગ્ર દેશ જયારે મોગલો અંગ્રેજોની ગુલામીમાં હતો ત્યારે રાજપૂતોએ રાષ્ટ્ર ધર્મની રખેવાળી કરવા માટે કેસરીયા કર્યા હોય એવા અનેક ઉદાહરણો સમગ્ર ભારત વર્ષના ખૂણે-ખૂણે જોવા મળે છે. ગૌ માતાની રક્ષા કાજે અનેક લોકો શહિદ થયા. બહેનોની સુરક્ષા માટે રાજપૂતો જ આગળ આવ્યા હતા અને તેવા શૂરવીરોના પાળીયા પણ ગામે ગામ પુજાય છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલા ઈતિહાસના પુસ્તકોમાં પણ રાજપૂતોની આ શૌર્ય ગાથાઓ વિશ્વભરમાં ફેલાયેલ છે.

સમસ્ત રાજપૂત સમાજની શૌર્ય અને વિરતાને સંગઠીત શકિત રૃપે એક તાંતણે બાંધવાના પ્રયત્નોને સાકાર કરવા માટે છેલ્લા ૨૦ વર્ષથી સમસ્ત રાજપૂત સમાજને એક તાંતણે જોડવાનો સંકલ્પ કરાવનારા સ્વ. નારશીભાઈ પઢીયાર અને વજુભાઈ વાળાના પ્રયાસોને પૂર્ણ કરવા માટે સન્માનીય વડીલો, શ્રેષ્ઠીઓ અને યુવાનો દ્વારા ભગીરથ પ્રયાસના ભાગરૃપે ૨૫,૦૦૦ જેટલા પ્રતિનિધિઓ શ્રી ભવાનીધામ ખાતે એકત્ર થઈ સમગ્ર ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ભવ્ય શસ્ત્રપૂજન સમારોહ કરવા કટિબધ્ધ બન્યા છે. તમામ રાજપૂતો પોતાની તલવાર અને સાફા સાથે પૂજન કરવા આવનારા છે તે આ પૂજનની વિશેષતા રહેશે.

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિરાટ સ્વરૃપે શસ્ત્રપૂજન કરવા રાજપૂત સમાજ એકત્રીત થનાર છે જેમાં ર૪ જિલ્લાઓના ૧૨૩ તાલકાઓમાંથી ૧૦,૮૫૫ ગામના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાશે.

કચ્છથી લઈ વલસાડ સુધીના તથા વાવ (થરાદ) થી લઈ ઉના, પોરબંદર સુધીના વિસ્તારોમાં શ્રી ભવાનીધામના વડીલો, યુવાનોની વાયુવેગી ટીમ સર્વશ્રી રૈયાભાઈ રાઠોડ, માવજીભાઈ ડોડીયા, દિપસંગભાઈ ડોડીયા, વિક્રમસિંહ પરમાર, તેજસભાઈ ભટ્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં જઈ રાજપૂત સમાજને કાર્યક્રમમાં જોડવા માટે પ્રયત્નો કરી રહેલ છે. અંદાજે ૩ર એકર જગ્યા ઉપર બનનારા માં ભવાનીના મંદિર સ્થળ ઉપર આ સમૂહ શસ્ત્રપૂજનનો વિરાટ કાર્યક્રમ નેશનલ હાઈવે નં.૮, ગામઃ વસ્તડી, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર ખાતે આયોજીત કરેલ છે.

લગભગ છેલ્લા ૨૦ દિવસથી ૨૧૦૦ સ્વયંસેવકોની ટીમો આ વ્યવસ્થા સંભાળે છે અને આયોજન માટે વિવિધ કમિટિના સભ્યશ્રીઓ વિક્રમસિંહ પરમાર, રૈયાભાઈ રાઠોડ, એડવોકેટ મહિપતસિંહ ચૌહાણ, ડો. અનીરૃધ્ધસિંહ પઢીયાર, અજયસિંહ મસાણી, મહેશભાઈ રાઠોડ,  નવલસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ મસાણી, વનરાજસિંહ પરમાર, અરવિંદસિંહ જાદવ,  લક્ષ્મણભાઈ ચાવડા, ગણેશભાઈ ગોહિલ,  ભરતસિંહ રાઠોડ, જયેશભાઈ ચાવડા, વજુભાઈ મુખી, મનુભા ચૌહાણ,  ઘનશ્યામસિંહ ધનરાજસિંહ વાઘેલા,  જીતેન્દ્રસિંહ મોરી સહિતની ટીમો ૨૪ કલાક કાર્યરત છે તેમ પ્રમુખ કિશોરસિંહ ચૌહાણની યાદીમાં જણાવેલ છે.

૩૦ એકરનું વિશાળ પાર્કિંગ વ્યવસ્થા

નેશનલ હાઈવે-૮ ઉપર સાયલાથી લીંબડી વચ્ચે હોટલ દર્શન નજીક ૩૦ એકર જગ્યા ઉપર વિશાળ પાર્કીંગ વ્યવસ્થા તૈયાર થઈ રહી છે. આ શસ્ત્રપૂજનના સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવાનીધામ ખાતે આવનારા દરેક પ્રતિનિધિઓ પોતાના વાહનનુ સુવ્યવસ્થિત પાર્કીંગ કરે તેવો અનુરોધ સ્વયંસેવકોની ટીમ દ્વારા કરાયેલ છે.

(3:27 pm IST)