Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

હંમેશા અન્‍ય લોકોની ચિંતા કરી તેઓને મદદરૂપ બનવું તે સ્‍વ. વીણાબેન ગણાત્રાનો જીવનમંત્ર હતો :રમેશભાઇ ટીલાળા

ઇશ્વરને પણ પોતાના ધામમાં સેવાકીય, ધાર્મિક અને પરોપકારી જીવની જરૂર હોય છે

રાજકોટ તા. ૩: અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતિ વીણાબેન ગણાત્રાનો સ્‍વર્ગવાસ થતા રાજકોટ ૩, વિધાનસભા બેઠક નંબર ૭૦ ના ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ ટીલાળાએ ઊંડા દુઃખની લાગણી વ્‍યકત કરી હતી. સ્‍વ. વીણાબેનને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરતા શ્રી રમેશભાઇ ટીલાળાએ જણાવ્‍યું હતું કે હંમેશા અન્‍ય લોકોની ચિંતા કરીને તેઓને મદદરૂપ બનવું તે સ્‍વ. વીણાબેન ગણાત્રાનો જીવનમંત્ર હતો.

કોઇપણ વ્‍યકિત સંજોગોવસાત્‌ દુઃખી હોય તો તેને જોઇને સ્‍વ. વીણાબેનનું હૃદય તુરત જ દ્રવી ઉઠતું અને જરૂરીયાતમંદ લોકોને સતત મદદરૂપ થવા સ્‍વ. વીણાબેન સદાય તત્‍પર રહેતા હતા. સ્‍વ. વીણાબેનનું પારિવારિક અને સામાજીક યોગદાન સદાય માટે યાદ રહેશે અને તેઓના આદર્શો નવી પેઢીને ભવિષ્‍યમાં પણ સતત ઉપયોગી પ્રેરણારૂપ બનશે તેવું ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ ટીલાળાએ જણાવ્‍યું હતું. અંતમાં તેઓએ કહ્યું હતું કે ઇશ્વરને પણ પોતાના ધામમાં સેવાકીય, ધાર્મિક અને પરોપકારી જીવની જરૂર હોય છે. જીવન-મૃત્‍યુ એ માત્ર ઇશ્વરના જ હાથમાં છે.

(4:17 pm IST)