Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

જન્મજાત મનોદિવ્યાંગ ૨૧ વર્ષનો પાર્થ આણંદપરા અને તેના પિતા અમોલભાઇ કોરોના સામે જીત્યા

ઘરે રહી ૧૦ દિવસ સુધી સારવાર કરાવી પણ ઓકિસજન લેવલ ૭૩ સુધી જ રહ્યું: અંતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ને સારવાર સફળ નિવડી : પાર્થના માતા પિતા મનોદિવ્યાંગ બાળકો માટે રિહેબીટેશન સેન્ટર ચલાવે છે : ૪૯ વર્ષના અમોલ આણંદપરા કહે છે-સમરસમાં મેં અને પુત્રએ સાત દિવસ સારવાર લીધીઃ અમે સાજા થયા તેનો તમામ યશ સમરસ કોવિડ કેર સેન્ટરને જ આપી શકાય

રાજકોટ તા. ૫ : '૨૧ વર્ષનો પાર્થ અમારૂ એકનું એક સંતાન છે. જન્મ સમયથી જ પાર્થ મનોદિવ્યાંગ હતો. તેને બે દિવસથી તાવ આવતો હતો. તાવની દવા લીધી. પણ ઉતર્યો નહીં. પછી કોરોના ટેસ્ટ કરાવ્યો તો તે પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત પાર્થનો સિટિ સ્કેન પણ કરાવવામાં આવ્યો. ઘરે દસ દિવસ કોરોનાની સારવાર લીધી પરંતુ પાર્થની તબિયતમાં સુધારો થવાના બદલે શ્વાસની તકલીફ શરૂ થઇ. ઓકિસજન લેવલ ૭૫ થી ૭૩ સુધીનું થઇ ગયુ. એટલે રાતો રાત મે સમરસના કોરોના સેન્ટરમાં દાખલ કરવો પડયો. પાર્થ મનો દિવ્યાંગ હોઇ તેની સંભાળ માટે મારે સતત ઘરમાં પણ તેની સાથે જ રહેવુ પડતું હતું. જેથી મને પણ કોરોના હતો. એટલે પાર્થ સાથે અમે બંને પિતા પુત્રએ સાત દિવસ સુધી સમરસમાં સારવાર લઇ. કોરોનામુકત બન્યા છીએ.'

આ વાત કરે છે ૪૯ વર્ષના અમોલ આણંદપરા. તેઓ વધુમાં કહે છે કે 'સમરસમાં ઓકિસજન અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં અમને પિતા પુત્રને રજા અપાઇ. આજ અમે બંનેસંપૂર્ણ સ્વસ્થ છીએ. તેનો યશ સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરના ફાળે જાય છે. જો ત્યાં સમયસર સારવાર ન મળી હોત તો મારા પુત્રની સ્થિતિ વધુ બગડી શકી હોત. કોરોનાનું સંક્રમણ વધ્યુ હોત.'

મનો દિવ્યાંગ પાર્થની સતત દેખરેખ કરતાં તેમના પિતા અમોલભાઇને પણ કોરોનાના લક્ષણો હતા. જોકે તેઓએ ત્રણ વાર કોરોના ટેસ્ટ કરાવેલા. પરંતુ રિપોર્ટ નેગેટિવ જ આવતા હતા. અંતે તેમણે ફેફસાનો સિટિ સ્કેન કરાવ્યો. જેમાં તેઓને પોતાને પણ સંક્રમણ આવ્યું હતું.

અમોલભાઇ અને તેમના પત્ની સ્પેશ્યલ એજયુકેટર છે. આ દંપતિએ બીએડ સ્પેશ્યલ એજયુકેટર તરીકે કર્યુ હતું. જેના થકી તેઓ મનો દિવ્યાંગ બાળકોને પોતાના ઘરે જ રિહેબિટેશન સેન્ટરમાં તાલીમ આપે છે. તેમજ મનો દિવ્યાંગ બાળકો માટે કામ કરતી પ્રયાસ સંસ્થામાં પણ આ દંપતિ તેમની સેવા આપે છે.

સરકારી સારવારના અનુભવ વિશે અમોલભાઇ કહે છે કે, 'સરકારી કોવિડ હોસ્પિટલમાં હોવાથી મારા પરિવારજનોની મારા ભોજન કે ખર્ચની પણ ચિંતા ન હતી. અમને સવાર સાંજ ચા ગરમ નાસ્તો અને બપોરે અને રાત્રે પૌષ્ટિક ભોજન હોસ્પિટલમાંથી જ પ્રાપ્ત થતું હતું. જો હું ખાનગી હોસ્પિટલમાં સારવાર લેત તો અમારે ખર્ચ અને ભોજનની ચિંતા રહેત. અમારી સમયસરની યોગ્ય સારવાર માટે અમે સરકારી હોસ્પિટલના ડોકટરો, નર્સ, અટેન્ડન્ટ, કલીનીંગ સ્ટાફ વગેરેના આભારી છીએ.

(3:07 pm IST)