Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

દશામાના વ્રત માટે નવા ચણીયા લેવા મામલે પતિ સાથે ઝઘડો થતાં કાજલ ઝેર પી ગઇ

રૂખડીયાપરામાં નવોઢા ઉર્મિલાને પતિ ચેતને ઢીકાપાટુનો માર માર્યો

રાજકોટ તા. ૪: ચુનારાવાડ-૫માં રહેતી કાજલ સુભાષ સોલંકી (ઉ.વ.૨૪) નામની પરિણિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

કાજલના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્રી છે. પતિ સુભાષ ભંગારની ફેરી કરે છે. કાજલના માતા મંજુલાબેન ખોખરના કહેવા મુજબ દિકરી કાજલનો સ્વભાવ ગુસ્સાવાળો છે. તેણે અગાઉ પણ નાની વાતે આવુ પગલુ ભર્યુ હતું. થોડા દિવસોમાં દશામાનુ વ્રત આવતું હોઇ તે નવા ચણીયા લેવા માટે પતિ સુભાષને પુછ્યા વગર ખરીદી કરવા ગઇ હતી. આ અંગે પતિ સુભાષે તેને સમજાવતાં તે ગુસ્સે થઇ ગઇ હતી અને ઝેરી દવા પી લીધી હતી. જમાઇનો કોઇ વાંક નહિ હોવાનું મંજુલાબેને કહ્યું હતું.

બીજા બનાવમાં રૂખડીયાપરામાં રહેતી ઉર્મિલા ચેતન ઘરણીયા (ઉ.વ.૨૨)ને પતિ ચેતને ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. ઉર્મિલાના નવેક મહિના પહેલા જ લગ્ન થયા છે. તેનો પતિ ચેતન પ્રાઇવેટ નોકરી કરે છે. ખોટી શંકા કરી પતિને મારકુટ કર્યાનો સગા અભિષેક ભાઇએ આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઢકામાં ભાવેશની લાકડીથી ધોલધપાટ

ત્રંબા પાસેના ગઢકામાં રહેતાં ભાવેશ મકવાણા (ઉ.વ.૨૯)ને કેશુભાઇ, યોગેશ સહિતે ઝઘડો કરી લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(12:52 pm IST)