Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘ બાળની કિલકીલાટી : બે બચ્‍ચાનો જન્‍મ

સિંહ બાદ સફેદ વાઘનું બ્રીડીંગ સેન્‍ટર બનતું રાજકોટ ઝુ : અત્‍યાર સુધીમાં કુલ ૧૩ બચ્‍ચાનો જન્‍મ

રાજકોટ, તા. ૬ : મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્‍ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્‍ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્‍ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્‍થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્‍યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્‍યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્‍ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.

સફેદ વાઘ નર દિવાકર તથા સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી ૧૦૮ દિવસના ગર્ભાવસ્‍થાના અંતે કાવેરી વાઘણ દ્વારા પ્રથમ વખત તા.૦૫ના રોજ સવારના સમયે સફેદ વાઘ બાળ જીવ-૨ નો જન્‍મ થયેલ છે. માતા કાવેરી દ્વારા બચ્‍ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્‍ચા બન્ને તંદુરસ્‍ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. હાલ ઠંડીની ઋતુ ચાલતી હોવાથી બચ્‍ચાઓને ઠંડી ન લાગે તેવી વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

સામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે. ચાલુ વર્ષે નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.૧૮ મેના રોજ સફેદ વાઘ બાળ ૦૨ નરનો જન્‍મ થયેલ જેને હાલ માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. જે હાલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની ગયેલ છે.

રાજકોટ ઝૂ ખાતે અત્‍યાર સુધીમાં કુલ ૧૩ સફેદ વાઘ બાળનો જન્‍મ થયેલછે. જેમાંથી ગાયત્રી વાઘણે ૧૦ બચ્‍ચાંને  યશોધરા વાઘણે ૧ બચ્‍ચાંને તેમજ કાવેરી વાઘણે ૦૨ બચ્‍ચાંને જન્‍મ આપેલ.

(3:41 pm IST)