News of Tuesday, 6th December 2022
રાજકોટ તા.૬ : ગુજરાત રત્ન પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબ તથા ગુરુ પ્રાણ પરિવાર નાં મહાસતીજી વૃંદનાં સાનિધ્યમાં પૂ.દેવજીસ્વામીની ૧૨૫મી પુણ્યતિથિ એ ગોંડલ સંપ્રદાયના ચતુર્વિધ સંઘ દ્વારા રોયલ પાર્ક જૈન સંઘમાં દિવ્યાંજલી અર્પણ કરવામાં આવી હતી.
આ મહાવીરનુ શાસન છે જયા સૌના સરીખા આસન છે. જૈન ધર્મ એક જ એવો ધર્મ છે કે જયા જ્ઞાતિની વાડા બંધી નથી. જે આત્મા જ્ઞાન , દર્શ઼ન , ચારિત્ર અને તપ મા આગળ હોય તે જૈન સંઘની પંચમકાળની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી શકે છે અને તેવા ઉચ્ચ આત્માના જીવન વિશે ની વાત.
દેવજી સ્વામીનો જન્મ ગોંડલ પાસેનાં રામોદ ગામમાં સં.૧૮૮૪ ના અષાઢ સુદ ૯ ને સોમવારે પીતાંબરભાઈ ઠક્કર ને ત્યાં ધનબાઈ માં ના કુંખે જન્મ થયેલ, એમના માતા પિતા સં.૧૮૭૧ માં જયારે મુનિશ્રી ડુંગર સ્વામી એ ગોંડલ માં નિવાસ કર્યો ત્યારે આ ઠકકર દંપતી તેમની સેવામાં રહેલ તેમની સેવાના પ્રતાપે અને પ્રભુકૃપાથી આ દંપતીને પુત્ર રત્ન પ્રાપ્ત થયો એમનું નામ દેવજી રાખેલ, આ ઠક્કર દંપતી નાનકડા બાળક દેવજી ને લઈ એક વખત ગોંડલ એ વખત ના આચાર્ય નેણસી સ્વામીનાં દર્શને ગયા ત્યારે બાળકને જોઈ આ સ્વામી એ આગાહી કરેલ કે આ બાળક ભવિષ્યમા મહાન થાશે.
દેવજી કિશોરાવસ્થામા હતા ત્યારે ગોંડલ સ્થાનકે નેણસી સ્વામીનુ વ્યાખ્યાન સાંભળવા જતા હતા અને તેમની દિવ્ય વાણી સાંભળી તેમના મા વૈરાગ્યના સંસ્કારો જાગી ઉઠયા અને પછી થી તેને જૈન સુત્રગ્રંથનો અભ્યાસ કર્યો અને તેમનામાં વૈરાગ્ય આવતા એક દિવસ નેણસી સ્વામી પાસે જઈ દીક્ષા માટે વિનંતી કરી અને પછી થી માતા પિતાની સ્વીકૃતિ મળતા સં.૧૮૯૯ ના મહા વદ ૮ ને ગુરૂવારે જૈન આચાર્ય નેણસી સ્વામી એ દેવજીને દીક્ષા આપી અને પછીથી તેઓ જૈન સંપ્રદાયના દેવજી સ્વામી તરીકે ઓળખાયા.
આ સમયે દેવજીની ઉંમર ફક્ત ૧૫ વર્ષ ની હતી ત્યાર બાદ દેવજી સ્વામી નેણસી સ્વામી સાથે ઉગ્ર વિહાર કરવા માંડ્યા અને થોડા સમયમાં જ દેવજી સ્વામી જૈન શાસનમાં ચમકી ઉઠયા, સં.૧૯૧૫ મા તૃતીય પટ્ટધર આચાર્ય નેણસી સ્વામી આવ્યા ને એના પટધર શિષ્ય આચાર્ય તરીકે દેવજી સ્વામી સારી ખ્યાતિ પામ્યા, નેણસી સ્વામી કાળધર્મ પામ્યા પછી ચતુર્થ પટ્ટધર આચાર્ય તરીકે જેસંગજી સ્વામી નિમાયા પરંતુ ગોંડલ સંપ્રદાયનો સર્વ કારભાર તો દેવજી સ્વામી જ સંભાળતા.
બાદ મા સં.૧૯૩૬ માં દેવજી સ્વામી પંચમ પટ્ટધર આચાર્ય પદે બિરાજયા, દેવજી સ્વામી નો ઉપદેશ એટલો સચોટ અને પ્રભાવક હતો કે એક જ વખત નુ વ્યાખ્યાન સાંભળનારનાં કાનમાં લાંબા સમય સુધી તેમની પ્રભાવક વાણી ગુંજયા કરતી દેવજી સ્વામીએ પોતાના આચાર્યપદના કાળમાં બે શિષ્યો કર્યા જયચંદ્રજી મહારાજ સાહેબ અને માણેકચંદ્રજી મહારાજ સાહેબ, પૂ.દેવજી સ્વામીની ઉંમર વધતાં એમનું આત્મ બળ પણ વધ્યું, સ્થાનકવાસી સમાજમાં તેમની સારી ખ્યાતિ હતી, તેઓ જયાં જયાં જતા ત્યાં ત્યાં તેમના દર્શનાર્થે ભારે અવર જવર રહેતી , અને જૈનો ઇચ્છતા કે પૂ. શ્રી દેવજી સ્વામી અમારે ત્યાં સ્થિરવાસ કરે તો અમારા ગામનો ભાગ્યોદય થાય પણ દેવજી સ્વામીમાં જયાં સુધી ચાલવાનું સામર્થ્ય હતું ત્યાં સુધી તેને ક્યાંય પણ સ્થિરવાસ કર્યો ન હતો, દેવજી સ્વામી એ વિ. સં. ૧૯૪૫ મા ધોરાજી ચાતુર્માસ કર્યુᅠ અને ત્યાંથી તેઓ જેતપુર આવ્યા અને વિ. સં.૧૯૪૬ ના મહાવદી ૭ ના રોજ ગોંડલ પદાર્પણ કર્યું ત્યારે સેંકડોની સંખ્યામાં શ્રાવકો શ્રવિકાઓ ઉમટ્યા હતા.
ધર્મસમ્રાટ ગણાતા આચાર્ય દેવજી સ્વામી મહારાજ નું અતિ ધામધુમથી સામૈયું કરવામાં આવેલ અને ત્યાર બાદ શ્રી સંઘની અને જૈન શ્રાવકોની લાગણી અને ભવાનાભરી વિનંતી થી દેવજીસ્વામીએ ગોંડલ સ્થિરવાસ કરેલ, ઉંમર વધતાં દેવજી સ્વામી એ સર્વ જીવો સાથે ખત્મ ખામણા કરી તેઓ સં. ૧૯૫૪ના માગશર સુદ તેરસનાં દિને સમાધિભાવ ધારણ કરી સ્વર્ગે સિધાવ્યા.
આ સમાચાર મળતાં બીજા દિવસે એમના અંતિમ દર્શન માટે દૂર દૂરથી શ્રાવક અને શ્રાવિકા ઓ અને સાધુ, સાધ્વી ઓ સ્વામી ના કુટુંબીઓ ગોંડલ જૈન સમાજ અને લોહાણા સમાજ અને અન્ય સમાજ ઉમટી પડેલ.
આજે પણ ગોંડલ જૈન સંઘ અને લોહાણા સમાજના દેવજી સ્વામીને સ્મરણ કરી ધન્યતા અનુભવે છે.