Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરીથી ૫ બાળકોને સાંભળવાની ક્ષમતા પ્રદાન કરતા રાજકોટ સિવિલના ઈ.એન.ટી. સર્જન

કુદરતી ડિસેબિલિટી વિરુદ્ધ સર્જરીની એબિલિટી : કોરોના કાળમાં જરૂરિયાતમંદ બાળકો પર ઈ.એન. ટી. વિભાગ દ્વારા કરાઈ સફળ સર્જરી

રાજકોટ, તા.૭,  એક હજારે ૩ થી ૪ બાળકોને સાંભળવાની કુદરતી ડિસેબિલિટીને એબીલીટીમાં કન્વર્ટ કરવાનું અમને અપ્રિતમ સૌભાગ્ય મળ્યું છે, આ શબ્દો છે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગના સર્જન ડો. સેજલ મિસ્ત્રીના.

 આમ તો કોરોના સમયમાં કોરોના સિવાય ગંભીરનો હોઈ તેવા કેઈસમાં સિવિલ હોસ્પિટલમા ઓ.પી.ડી. અને અન્ય સર્જરી લાંબા સમયથી બંધ છે. પરંતુ ગત માસમાં જયારે કોરોનાના કેઈસ હળવા હતા તે સમય દરમ્યાન અમે ૫ બાળકોની બે દિવસમાં સર્જરી કરી છે. હાલ બાળકો સ્વસ્થ હોવાનું અને ટૂંક સમયમાં  ઇમ્પ્લાન્ટ કરેલ મશીન ઓન કરવામાં આવશે ત્યારે બાળકોને ધ્વનિની ગુંજ સંભળાશે તેમ ડો. સેજલબેન જણાવે છે.

 કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિષે વાત કરતા ડો. મિસ્ત્રી જણાવે છે કે, ગત. તા. ૨૫ અને ૨૬ માર્ચ દરમ્યાન ૩ બાળકો અને ૨ બાળાની કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી નવી ટેક્નોલોજી 'પોસ્ટીરિયર ટાઇમ્પેનોટોમી' થકી કરવામાં આવી છે. આ પદ્ધતિથી સર્જરીની સફળતાનો રેસિયો વધુ રહેતો હોય છે અને સર્જરી સમયમાં ઘટાડો જોવા મળે છે. આ સર્જરીમાં ગાંધીનગર મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નીરજ સુરીનો સહયોગ મળ્યો હતો.

 આ સર્જરી પ્રથમ એક કાનમાં કરવામાં આવે છે. આશરે દસ દિવસ બાળકને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. આ સર્જરી મગજની નર્વ સાથે ડાયરેકટ જોડાયેલ હોઈ તે ભાગમાં રસી કે અન્ય કોઈ ઇન્ફેકશન ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોઈ છે. ત્યારબાદ મશીન ઓન કરવામાં આવે છે. અને બાળકને તબક્કા વાઈઝ ધ્વનિ અને શબ્દોથી પરિચિત કરવા બાળકને આશરે એક વર્ષ સુધી સ્પીચ થેરાપીની જરૂરત હોવાની અને તેના માટે ટ્રેઈન્ડ સ્ટાફ દ્વારા તેમને સેશન વાઈઝ આ થેરાપી આપવામાં આવતી હોવાનું ડો. સેજલ જણાવે છે.

 ખાનગી હોસ્પિટલમાં ૧૦ થી ૧૨ લાખના ખર્ચે થતી આ પ્રકારની સર્જરી રાજ્ય સરકારની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કરી આપવામા આવે છે. જેનો લાભ ખાસ કરીને ગ્રામીણ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોને આપવામાં આવે છે.

 હજુ ઘણાં બાળકોને આ સર્જરી કરવાની હાલ પેન્ડિંગ છે. હાલની કોરોનાની સ્થિતિ ધ્યાને લેતા બાળકોને કોરોનાનું ઇન્ફેકશન ન લાગે તે માટે યોગ્ય સમયે આગળની સર્જરી કરવામાં આવશે તેમ વિભાગ દ્વારા જણાવાયું છે.

 વર્ષ ૨૦૧૬ થી આ પ્રકારે સર્જરી કરવામાં આવે છે અને પ્રતિ વર્ષ ૨૫ થી વધુ સર્જરી  ઈ.એન.ટી વિભાગ દ્વારા કરવામા આવે છે. અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ દિવ્યાંગ બાળકોને સાંભળવા અને બોલવાની બક્ષિસ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પુરી પાડવામાં આવી છે.

(3:26 pm IST)