Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટની એડ્વર્ટાઈઝમેન્ટ ક્ષેત્રની ટોચની એજન્સી ચારુ પબ્લીસીટીવાળા હરીશભાઈ પારેખનું દુઃખદ નિધન

રાજકોટમાં સર્કસ, જાદુગર સહિતના મનોરંજન કાર્યક્રમ લાવવામાં પણ સિંહફાળોઃ 'અકિલા' સાથે વર્ષો જૂનો આત્મીય નાતો

રાજકોટ : રાજકોટની એડવર્ટાઈઝમેન્ટ ક્ષેત્રની ટોચની એજન્સી ચારુ પબ્લીસીટીવાળા હરીશભાઈ પારેખનું  કોરોનાથી દુઃખદ નિધન થયું છે. મળતાવડા સ્વભાવના અને અકિલા પરિવાર સાથે વર્ષો જૂનો આત્મીય નાતો ધરાવતા હરીશભાઈ પારેખના અચાનક નિધનથી અકિલા પરિવારે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, 'અકિલા' તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા,  'અકિલા'ના એકઝીકયુટીવ એડીટર શ્રી નીમિષભાઈ ગણાત્રા, તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા બે મિનિટ મૌન પાળીને સદગતને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી.

રાજકોટમાં સર્કસ,જાદુગર સહિતના મનોરંજક કાર્યક્રમો લાવવામાં હરીશભાઈનો સિંહફાળો રહ્યો હતો, તેઓના પિતા મુળજીભાઈ ગુલાબચંદભાઈ પારેખ (ફૂલછાબ-નૂતન સૌરાષ્ટ્ર ) વર્ષ ૧૯૫૨-૫૩માં પહેલીવાર ગાડામાં સર્કસ લાવેલ હતા, પિતાના પગલે ૧૯૮૪માં હરીશભાઈએ પણ રાજકોટમાં સર્કસ લાવવાનું શરૂ કર્યું હતું.

હરીશભાઈના મોટાભાઈ રમેશભાઈ ( એરોઝ એડવાઇટાઇઝિંગ) જામનગર ખાતે રહે છે અને રાજકોટ વોર્ડ ન.૧ના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરી તેમના નાના બહેન થાય છે.

પિતાના વ્યવસાયને આગળ વધારતા હરીશભાઈ સર્કસ અને અલગ અલગ મેળાના પ્રમોટર બન્યા હતા,ગુજરાતમાં પહેલીવાર અમરનાથ યાત્રા કરવાનો શ્રેય હાંસલ કરનાર હરીશભાઈ તેમની પાછળ તેના ધર્મપત્ની હર્ષિદાબેન, પુત્રી વષુંધા આશિષભાઇ કુરાણી, પુત્ર મૌલિક (મો.૯૦૩૩૦ ૬૮૯૦૦), પુત્રવધુ અર્ચના તથા પૌત્ર દક્ષ અને દોહિત્રી પ્રિશાને વિલાપ કરતા છોડી ગયા છે.

(11:45 am IST)