Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ભારત જૈન મહામંડળના ઉપલક્ષે વિશ્વ મૈત્રી દિવસ - ક્ષમાપના સમારોહ યોજાયો

જૈન સમાજના ચારે સંપ્રદાયોના આચાર્ય ભગવંતોના પાવન સાંનિધ્યે ભાવિકો પ્રેરણાત્મક બોધ પામ્યાઃ દરેક જૈને ખાદ્ય શુધ્ધિ અને પેયશુધ્ધિનું જીવન જીવવું જોઈએઃઆચાર્ય પૂજય શ્રી મહાશ્રમણજીઃ ક્રાઈસેસને ક્રિએશનમાં અને પ્રોબ્લેમને પ્રોગ્રેસમાં પરિવર્તિત કરીએ. સંપ્રદાયોને કોર્ટરૂમ નહીં, હાર્ટરૂમ બનાવીએઃ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ.સા. એકતાના સૂત્રમાં બંધાઈને સમાજને આગળ લાવીએઃઆચાર્ય પૂજય શ્રી જિનમણિપ્રભ સૂરીશ્વરજી મ.સા.

રાજકોટ, તા.૭: ભારત જૈન મહામંડળના ઉપલક્ષે જૈન સમાજના ચારે સંપ્રદાયના ગુરુ ભગવંતોના પાવન સાંનિધ્યે વિશ્વ મૈત્રી દિવસ- ક્ષમાપના સમારોહનું લાઈવ પ્રસારણના માધ્યમે આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વને મૈત્રી અને ક્ષમાધર્મનો પાવન સંદેશ આપતાં આ સમારોહમાં આચાર્ય પૂજય શ્રી જિનમણિપ્રભસૂરીશ્વરજી મ.સા., આચાર્ય પૂજય શ્રી મહાશ્રમણજી, આચાર્ય પૂજય શ્રી પુલકસાગરજી મ.સા., રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.ના પાવન સાંનિધ્ય સાથે શ્રી પરાગભાઈ જૈન (આઈએએસ, સેક્રેટરી ટેકસટાઇલ), શ્રી ડી.સી.જૈન (આઇપીએસ, જોઈન્ટ ડાયરેકટર,સીબીઆઈ), શ્રી મોતીલાલજી ઓસવાલ (એમડી. મોતીલાલ ઓસ્વાલ), શ્રી શૈલેષજી લોઢા (કલાકાર અને કવી) આદિ અતિથિગણ વિશેષ ભાવ સાથે જોડાયાં હતાં. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાકેશભાઈ મહેતા, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષશ્રી મદનલાલજી મુઠલિયા, રાષ્ટ્રીય મહાસચિવ રાજેશજી વર્ધન, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ ગણપતજી કોઠારી આદિ ભારત જૈન મહામંડળના સભ્યો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અવસરે, એક જ મંચ પર એક સાથે ચારે ફિરકાઓના સંતોને જોડવાના ભારત જૈન મહામંડળના પુરુષાર્થની પ્રશસ્તિ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ બોધ વચન ફરમાવતાં કહ્યું હતું કે, આપણાં દરેક સંપ્રદાય તે પરમાત્માનો જ એક પરિવાર છે અને આ પરિવારની એકતાનો અહેસાસ કરવા જ આપણે વારંવાર મળી રહ્યાં છીએ. આ સમયમાં કોરોના જેવી ક્રાઈસીસ આવી પરંતુ સંત એકતાનું ક્રિએશન કરી ગઈ. એટલે જીવનમાં જયારે પણ કોઈ ક્રાઈસેસ આવે ત્યારે આપણે અપસેટ ન થતાં, અપગ્રેડ થજો. પ્રભુ મહાવીરનો ધર્મ આપણને હંમેશા પ્રોબ્લેમમાં પણ પ્રોગ્રેસ કરવાની પ્રેરણા આપી રહ્યો છે.

કોઈકની ભૂલ દર્શાવવાના કારણે જ આજ સુધી સંપ્રદાયોનું સર્જન થતું આવ્યું છે. વાસ્તવિકતામાં કોઈની ભૂલ બતાવી તે જ આપણી સૌથી મોટી ભૂલ હોય છે. આપણે આપણાં સંપ્રદાયોને આરગ્યું કરતાં કોર્ટરૂમ જેવા નહીં પરંતુ પરસ્પર પ્રેમ અને એકતા સ્વરૂપ હાર્ટરૂમ જેવા બનાવવા છે. આપણાં સહુનો મંત્ર એક છે, મંચ પણ એક જ છે અને આપણું મન પણ એક બની જાય એવી પ્રેરણા આપેલ.

આચાર્ય પૂજય શ્રી પુલકસાગરજી મહારાજ સાહેબે આ અવસરે સમાજ એકતાનો સંદેશ આપતાં કહ્યું હતું કે, દુનિયામાં જો કોઈ તીર્થ જીવિત છે તો ચૈતન્ય તીર્થરૂપી સંતો જ તેનું કારણ છે. બારૂદના ઢગલા પર બેઠેલી દુનિયાએ સમજવું પડશે કે હથિયારોથી કદી શાંતિનું સર્જન નથી થવાનું પરંતુ પ્રભુના જીવો અને જીવવા દ્યો ના સંદેશથી શાંતિનું સર્જન થઈ શકશે.

(11:46 am IST)