Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કોટડા સાંગાણીમાં સુમનબેન સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ માતા-પિતાનો હત્યાનો આક્ષેપ

પતિ દારૂ પી મારકુટ કરતો, શંકા કરી હેરાન કરતો હોવાનો પણ કોલકત્તાથી આવેલા માવતરનો આક્ષેપઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ બે માસુમ પુત્રો મા વિહોણા થતાં અરેરાટી

તસ્વીરમાં સુમનબેનનો નિષ્પ્રાણ દેહ અને આક્ષેપ કરનારા તેના માતા પિતા જોઇ શકાય છે

રાજકોટ તા. ૭: કોટડા સાંગાણીમાં ભાડવા રોડ પર મફતીયાપરામાં રહેતી સુમનબેન મેહુલ સોલંકી (ઉ.વ.૩૦) નામની દેવીપૂજક પરિણીતાનું ગળાફાંસો ખાઇ લેતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. કોલકત્તાથી આવેલા માવતરે બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરતાં કોટડા સાંગાણી પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

સુમનબેને ઘરે ગળાફાંસો ખાઇ લેતાં તેનુ મોત થયું હતું. બનાવની જાણ થતાં કોટડા સાંગાણી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના માવતર કોલકત્તા રહે છે. બનાવની જાણ થતાં તેઓ રાજકોટ પહોંચ્યા હતાં. તેમણે દિકરીની હત્યા પતિ મેહુલ બાબુભાઇ સોલંકીએ કરી હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તેને સકંજામાં લીધો છે અને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રાજકોટ ખાતે કરાવવા તજવીજ હાથ ધરી છે.

સુમનબેનનો પતિ બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. તેણીના આપઘાતથી બે માસુમ પુત્ર મા વિહોણા થઇ ગયા છે. સુમનબેનના માતાનું નામ ગીતાબેન અને પિતાનું નામ ચંદુભાઇ મોહનભાઇ સંકેરા છે. બંનેએ આક્ષેપ કર્યો હતો કે જમાઇ મેહુલ અમારી દિકરી સુમનને દારૂ પી મારકુટ કરતો હતો અને ખોટી શંકા પણ કરતો હતો. અમને શંકા છે કે તેણે મારીને દિકરીને લટકાવી દીધી હશે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)