Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સાહિત્‍ય સર્જક મુનિકુમાર પંડયાનુંકાલે સાહિત્‍ય સેતુ દ્વારા સન્‍માન

રાજકોટ તા. ૮: દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા પ્રેરિત સાહિત્‍યીક પ્રવૃતિ કરતી સંસ્‍થા સાહિત્‍ય સેતુ દ્વારા શિક્ષણ અને સાહિત્‍ય બંનેમાં જેમનું બહુમૂલ્‍ય યોગદાન છે એવા રાજકોટ નિવાસી ૮૪ વર્ષીય મુનિકુમાર પંડયાનો અભિવાદન સમારંભ કાલે તા. ૯ના ગુરૂવારે સાંજના પ વાગે એરપોર્ટ રોડ, પર આવેલ ગીત પાર્કના નિવાસસ્‍થાને યોજવામાં આવેલ છે.

આ સન્‍માન કાર્યક્રમમાં સાહિત્‍ય સેતુ દ્વારા સર્જક મુનિકુમાર ચંદ્રકાંતભાઇ પંડયાનું કુમકુમ તિલક, પુષ્‍પગુચ્‍છ, શ્રીફળ, સાકરનો પડો આપી, ખેસ પહેરાવી, પુસ્‍તક તેમજ વિવેકાનંદજીનો ફોટો અને સન્‍માનપત્ર આપી તેમજ શાલ ઓઢાડીને ભાતીગળ તેમજ પરંપરાગત સન્‍માન સાહિત્‍યપ્રેમીઓની ઉપસ્‍થિતિમાં કરવામાં આવશે. કવિ-લેખકો-સર્જકો-સાહિત્‍ય પ્રેમીઓને પધારવાનું સ્‍નેહભર્યું નિમંત્રણ છે.

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્‍થાના મંત્રી મુકેશભાઇ દોશીના માર્ગદર્શન હેઠળ અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, હસુભાઇ શાહ, પંકજ રૂપારેલીયા, સુધીર દતા, પરિમલભાઇ જોષી, જયેન્‍દ્રભાઇ મહેતા, નૈષધભાઇ વોરા, વિપુલભાઇ ભટ્ટ, મહેશ જીવરાજાની, મહેશભાઇ વ્‍યાસ, દિનેશભાઇ ગોવાણી, પ્રકાશ હાથી, સુનિલ વોરા, નલિન તન્‍ના વગેરે કાર્યરત છે.

(4:20 pm IST)