Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સિગ્નલો ચાલુ રહેતાં હોવાથી ગઇકાલે ઠેર ઠેર વાહનોની કતાર જામતાં ટ્રાફિક જામ થયો હતો

૩૦૦૦ પોલીસ જવાનો કોરોનાનું સંક્રમણ અટકાવવા મેદાનેઃ સાંજે ૭ વાગ્યે ટ્રાફિક સિગ્નલ બંધ કરાશે

લોકોને માસ્ક પહેરવા-સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતના નિયમોનું પાલન કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધ

રાજકોટ તા. ૮: કર્ફયુનો સમય રાજકોટ શહેર સહિત ૨૦ શહેરોમાં સાંજના ૮ થી સવારના ૬ સુધીનો કરવામાં આવ્યો હોઇ ગઇકાલથી જ આ નવા નિયમનો અમલ શરૂ થઇ ગયો છે. પરંતુ ગત સાંજે કર્ફયુ શરૂ થયો એ સાથે જ ઘરે ઉતાવળે પહોંચવા નીકળી પડેલા લોકો ઠેક ઠેકાણે મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ પર ફસાઇ ગયા હતાં અને ટ્રાફિક જામ સર્જાયો હતો. આ જામ સર્જાવા પાછળ કયાંક ને કયાંક ટ્રાફિક સિગ્નલો જવાબદાર હોવાનું ચિત્ર ઉપસતાં આજે સાંજે ૭ વાગ્યે જ તમામ ચાર રસ્તાઓના ટ્રાફિક સિગ્નલો બંધ કરી દેવામાં આવશે. જેથી કરીને લોકોને લાંબો સમય ઉભા ન રહેવું પડે અને ટ્રાફિક સડસડાટ પસાર થઇ જાય. જો કે આડેધડ વાહન ચાલકો ભાગવા ન માંડે તે માટે આવા ચાર રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત રહેશે. શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે  જણાવ્યું હતું કે સંક્રમણ અટકાવવાની કામગીરી માટે ૩૦૦૦ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ફરજમાં છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાએ વધુને વધુ વિકરાળ સ્વરૂપ દેખાડતાં સરકારને કર્ફયુનો સમય વધારવો પડ્યો છે. પહેલા રાજકોટમાં રાત્રીના દસથી સવારના છનો કર્ફયુ હતો તે બાદમાં રાતના નવથી કરાયો હતો. હવે સાંજના આઠથી કર્ફયુ લાગુ કરવામાં આવ્યો છે. કર્ફયુના નિયમનું પાલન કરવાવા શહેરના ત્રણ હજાર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સતત ફરજ બજાવશે. લોકોને નિયમોનું પાલન કરવા અને દંડ સહિતની કાર્યવાહીથી બચવા શ્રી અગ્રવાલે અનુરોધ કર્યો છે.

ગઇકાલે સાંજે આઠ વાગ્યે કર્ફયુ ચાલુ થઇ ગયો પછી પણ લોકો રોડ પર હતાં. અનેક વાહનો ઠેકઠેકાણે ફસાયા હતાં, જામ થઇ ગયા હતાં. લોકોએ ઠેકઠેકાણે પોતાને રોકનારા પોલીસ સ્ટાફને મોટા ભાગના વાહન ચાલકોએ એવું પણ કહ્યું હતું કે આગળ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાને કારણે જામમાં ફસાઇ જતાં મોડુ થઇ ગયું હતું. સિગ્નલો પર સમય ખોટી ન થાય અને વાહન ચાલકોને વધુ સમય રોકાવું ન પડે એ માટે હાલ કર્ફયુના દિવસોમાં સાંજે સાત વાગ્યે જ તમામ ટ્રાફિક સિગ્નલો બંધ કરી દેવામાં આવશે.

લોકોએ માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોનાના નિયમોનું પાલન કરવા અને પોલીસને સહકાર આપવા વધુ એક વખત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે આખુ વર્ષ શહેર પોલીસે કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારની માર્ગદર્શિકા મુજબ કામ કર્યુ છે. ફરી એક વખત પોલીસ આ કામ કરી રહી છે.

શહેરના લોકોને ફરિયાદ કરવા માટે પણ બહુ જરૂર હોય તો જ પોલીસ સ્ટેશને કે પોલીસ કમિશનર કચેરીએ આવવા અન્યથા શહેર પોલીસના ઇ-મેઇલ આઇડી, ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને સિટીઝન પોર્ટલ પર ફરિયાદ અરજી કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

  • પોલીસ સ્ટેશનોમાં બને ત્યાં સુધી આવવાનું ટાળોઃ ઇ-મેઇલ, ફેસબૂક, ટ્વીટર સહિતનો ઉપયોગ કરો

પોલીસ કમિશનરે ફોન નંબરો પણ જાહેર કર્યાઃ કચેરીએ ટોળા રૂપે ન આવી બે વ્યકિતએ જ આવવા સુચનઃ અહિ તમામ પોલીસ સ્ટેશનના ઇ-મેલ આઇડી તથા ઇન્ચાર્જના મોબાઇલ નંબર આપેલા છે તેનો જરૂર મુજબ લોકો ઉપયોગ કરી શકે છેઃ ૧૦૦ નંબર ઉપર પણ લોકો ફોન કરી પ્રશ્નનું નિરાકરણ લાવી શકશેઃ જરૂર હોય તો જ બહાર નીકળવા અનુરોધ

(2:55 pm IST)