Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ઘોર બેદરકારી:રાજકોટ સિવિલમાં જીવીત વૃદ્ધાના ડેથ સર્ટિફિકેટ સાથે બીજાનો મૃતદેહ આપી દીધો

પરિવારે સગા-વ્હાલાઓને બોલાવી લીધા પરિવારે અંતિમસંસ્કારની તૈયારી કરી લીધી હતી: માજી જીવતા નીકળતા પરિવાર રાજી

રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોમાં સપડાતી જાય છે. આજે ફરી સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. જીવતા વૃદ્ધાનું ડેથ સર્ટિફિકેટ પરિવારને આપી અને ડેડબોડી બીજાની આપી દીધી . જોકે પરિવારને ફોટો બતાવતા જ પરિવારે આ વૃદ્ધા આમારા નથી અને ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારે સમયસુચકતા વાપરી ન હોત તો બીજાના અંતિમસંસ્કાર કરી નાખત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે શ્વાસની તકલીફ ધરાવતા રાજીબેન મૈયાભાઇ વરૂને દાખલ કરવામાં આવ્યા હતા. આજે માજીના દિકરાને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા માજીનું નિધન થયું છે. આથી પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બાદમાં માજીનું ડેથ સર્ટિફિકેટ પણ આપ્યું અને પીપીઇ કિટમાં પેક ડેડબોડી લઇ જવા જણાવ્યું. પરંતુ પરિવારને ફોટો બતાવતા જ પરિવારે કહ્યું કે આ અમારા માજી નથી. બાદમાં માજી જીવતા નીકળતા તેના દિકરા સાથે વીડિયો કોલથી વાત પણ કરાવી. પરિવારે અંતિમસંસ્કાર માટેની પણ તૈયારી કરી લીધી હતી.

મૃતકના ભત્રીજા વાલાભાઇ વરૂએ જણાવ્યું હતું કે, મારા કાકી રાજીબેન મૈયાભાઇ વરૂને શ્વાસની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલ કાલે લાવ્યા હતા. આથી હોસ્પિટલે મારા કાકીને કોવિડમાં એડમીટ કરી દીધા. આજે ત્રણ વાગ્યે ફોન આવ્યો કે રાજીબેનનું મૃત્યુ થઇ ગયુ છે તેની ડેડબોડી લઇ જાવ. આથી અમે બધા હોસ્પિટલે આવ્યા અને અમને ડેથ સર્ટિફિકેટ બતાવ્યું. પછી ફોટો દેખાડ્યો તો અમે કહ્યું કે આ અમારા માજી નથી. અમે સ્વીકારવા રાજી નથી. પછી હોસ્પિટલ સ્ટાફે વીડિયો કોલથી માજી દેખાડ્યા તો અમે કહ્યું આ અમારા માજી છે. બાદમાં હોસ્પિટલે સ્વીકાર્યુ કે જે કંઇ બન્યું તે અમારા સ્ટાફની ભૂલને કારણે બન્યું છે.

વાલાભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ડેડબોડી સ્વીકાર્યા વગર નીકળી ગયા હતા. અમારા માજી જીવે છે અને વીડિયો કોલમાં વાત પણ કરી અમે. માજીએ કહ્યું કે બેટા મને લઇ જા મને કંઇ છે નહીં. અમારા માજીનો કોરોના રિપોર્ટ કરાવ્યો તે પણ નેગેટિવ આવ્યો છે. અમને મૃત્યુનો ફોન આવતા જ અમે સગા-વ્હાલાને જાણ કરી દીધી હતી અને સ્મશાનમાં અંતિમવિધિની તૈયારી કરી દીધી હતી. ઘરે રોકકળ પણ થઇ હતી. મારૂ એટલું જ કહેવું છે આ અંગે તંત્રએ ધ્યાન દોરવું જોઇએ. જેથી ભવિષ્યમાં આવું બીજા સાથે ન થાય. હોસ્પિટલના સ્ટાફને તેની ભૂલની સજા મળવી જોઇએ. આવડી મોટી ભૂલ ન થવી જોઇએ.

અમારા માજીનું ડેથ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું. પરંતુ ફોટો જોઇને અમને ખબર પડી કે આ તો મોટી ભૂલ છે. સુરત-અમદાવાદમાં તાજેતરમાં બનાવ બન્યો હતો કે, મૃતકની ડેડબોડી બીજાને આપી દીધી હતી. આથી રાજકોટ સિવિલ હોસ્પિટના સ્ટાફની ભૂલની સજા મળવી જોઇએ. અમારી માગ એટલી જ કે, આવું બીજા સાથે ન થાય તે માટે સજા થવી જોઇએ. હવે અમારે ભરોસો જ નથી એટલે અમે કલાકમાં જ રજા લઇ માજીને ઘરે લઇ જવાના છીએ.

(8:21 pm IST)