Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલમાં અમરેલીના સતાભાઇ મેર ઉપર વિનામુલ્યે સફળ એન્જીઓપ્લાસ્ટી

રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) ખાતે આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આ સાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે.

આવું જ એક પેશન્ટ સતાભાઈ રૂપાભાઇ મેર  (ઉંમર ૪૫ વર્ષ ગામ લાઠી જીલ્લો : અમરેલીનું વતની) છાતીમાં દુઃખાવાની  ફરિયાદ સાથે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ માં નિદાન અને ઓપરેશન માટે આવેલ હતું.

પેશન્ટના કુટુંબમાં ૪ વ્યકિતઓ છે. મોટો પુત્ર હીરા ઘસવાનું કામ કરે છે. જયારે દર્દી તથા નાનો પુત્ર ગામના ઢોર ચારવાનું કામ કરે છે. આ ગરીબ કુટુંબના આર્થીક સ્થિતિ  નબળી છે.

 શ્રી સત્ય સાંઈ હોસ્પિટલ નિદાન  થયા બાદ ખબર પડી હતી કે દર્દની હદયની નળીઓ સાંકડી  થઇ ગઈ હતી અને હૃદયરોગનો હુમલો આવતા જમણી બાજુની નળીમાં એન્જીઓપ્લાસ્ટી કરવાની જરૂર છે.

 આથી આ દર્દીને વિનામૂલ્યે  એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી અને દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થાય બાદ રજા આપવામાં આવી હતી બાબાની અસીમ કૃપા અને આશીર્વાદ થી દર્દીને નવું જીવન પ્રાપ્ત થયું.

(4:17 pm IST)