Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

એક તરફ હોસ્‍પિટલોમાં રેમડેસિવિરનું રમખાણ મચ્‍યું છે : બીજી બાજુ ભાજપ તરફથી ઇન્‍જેકશન ફ્રીમાં

મોટી સંખ્‍યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઇન્‍જેકશન લેવા માટે ઉમટી પડયા છે : ઇન્‍જેકશનને લઇને રાજનીતિ પણ શરૂ થઇ

સુરત તા. ૧૦ : ગુજરાતની હોસ્‍પિટલોમાં રેમડેસિવિર ઈન્‍જેક્‍શનની અછત છે. રાજય સરકાર આ મામલે રોજ ખુલાસા કરે છે, ક્‍યાં કેટલો જથ્‍થો પહોંચાડવામાં આવે છે. ગુજરાતમાં જે સ્‍ટોકમાં દર્દીઓ આવી રહ્યા છે, તેટલો સ્‍ટોક ઈન્‍જેક્‍શનનો નથી. દર્દીઓના સગાઓને એક ઈન્‍જેક્‍શન લેવા માટે લાઈનમાં ઉભા રહેવુ પડે છે. ડિમાન્‍ડ એટલી વધી ગઈ કે, ઝાયડસ કેડિલા કંપનીને પણ હાલ સ્‍ટોક નથી તેવી જાહેરાત કરવી પડી. આ વચ્‍ચે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા રેમડેસિવિરની લ્‍હાણી કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા સુરતમાં રાહત દરે અને ક્‍યાંક ફ્રીમાં ઈન્‍જેક્‍શન આપવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ, ઈન્‍જેક્‍શનને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉપક્રમે ભાજપ કાર્યાલય ઉધના ઉપરથી સવારે ૧૦.૩૦ વાગ્‍યાથી દર્દીને વ્‍યક્‍તિદીઠ એક રેમડેસિવીર ઈન્‍જેક્‍શન વિનામૂલ્‍યે આપવામાં આવશે. જેમાં ડોક્‍ટરના પ્રિસ્‍કીપશન સાથે લાવવાનું રહેશે. માત્ર ૯ એપ્રિલ તથા ૧૦ એપ્રિલના ડોક્‍ટરના પ્રિસ્‍ક્રીપ્‍શન માન્‍ય રહેશે. કુપન આપી જથ્‍થા પ્રમાણે ઇન્‍જેક્‍શન ઉપલબ્‍ધ કરવામાં આવશે. કોરોના મહામારીમાં સંક્રમિત પેશન્‍ટની જરૂરીયાત મુજબ વિનામૂલ્‍યે રેમડેસિવીર ઇન્‍જેક્‍શન' વિતરણ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર કાર્યાલય, ઉધના મેઈન રોડ, ઉધના, સુરત ખાતે રેમડેસિવીર ઈન્‍જેક્‍શન મળશે. જેમાં પુરાવા તરીકે પેશન્‍ટનું આધાર કાર્ડ, ડોક્‍ટરનું પ્રિસ્‍ક્રીપશન, RT-PCR રિપોર્ટ લઈને જવું.

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર, પાટીલ દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતેથી ૧૦૦૦ જેટલાં ઈન્‍જેક્‍શનો દર્દીને આપવા માટેની જાહેરાત કરતાંની સાથે જ મોટી સંખ્‍યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઈન્‍જેક્‍શન લેવા માટે ઊમટી પડ્‍યા છે.

જો ખાનગી હોસ્‍પિટલો અને જિલ્લા કલેકટર તરફથી ફાળવવા માટે ઈન્‍જેકશન ન હોય તો ભારતીય જનતા પાર્ટી પાસે ઈન્‍જેક્‍શન ક્‍યાંથી આવ્‍યાં એ એક મોટો પ્રશ્ન છે. સીઆર પાટીલ ક્‍યાંથી ઈન્‍જેક્‍શન લાવ્‍યા તે વિશે મુખ્‍યમંત્રીએ પણ કહ્યું કે, એ તો એમને જ પૂછો.

ત્‍યારે આ મામલે વિવાદ થતા સીઆર પાટીલે સ્‍પષ્ટતા કરી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ પંચમહાલના મોરવામાં મોરવાહડફ પેટાચૂંટણી માટે સમીક્ષા બેઠક કરવા આવ્‍યા હતા. ત્‍યારે સીઆર પાટીલે રેમડેસિવિર ઇન્‍જેક્‍શન મામલે મોટું નિવેદન આપ્‍યું હતું કે, સુરત ભાજપના કેટલાક મિત્રોએ બજાર ભાવે ઈન્‍જેક્‍શન ખરીદ્યા હતા. સરકાર એની રીતે સારી વ્‍યવસ્‍થા કરી જ રહી છે, પરંતુ સુરત ભાજપે પોતાની રીતે પૂરક વ્‍યવસ્‍થા કરી છે. ઈન્‍જેક્‍શન ભાજપના માધ્‍યમથી વિતરણ કરી રહ્યા છીએ. જરૂરિયાત મંદોને ઈન્‍જેક્‍શન આપવામાં આવશે.

તો આ વચ્‍ચે રેમડેસિવિર ઈન્‍જેક્‍શનના વેચાણને ઝાયડસ હોસ્‍પિટલથી ફરી ચાલુ કરવા અંગે મેં પંકજભાઈ સાથે વાત કરી છે અને બહુ જલ્‍દી આ વેચાણ વ્‍યવસ્‍થા પુનઃ ચાલુ કરવામાં આવશે તેવું કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ ટ્‍વિટર દ્વારા જાણકારી આપી છે.

ભાજપ કાર્યાલય પરથી રેમડીસીવીર ઇન્‍જેક્‍શનના વેચાણ કરવા અંગે કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે. કોંગ્રેસ પ્રવકત્તા મનિષ દોશીએ સરકાર અને ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે, ભાજપે રસીકરણનું રાજકીયકરણ કર્યું. રેમડેસિવિરના બેફામ કાળાબજાર સામે વ્‍યવસ્‍થા ના કરી. કેન્‍દ્રની ટીમે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં કાળા બજાર થઈ રહ્યા છે. ઝાયડ્‍સ હોસ્‍પિટલથી ૮૦૦ માં ઈન્‍જેક્‍શનની વ્‍યવસ્‍થામાં મદદ કરવાની જરૂર હતી. સરકારે ઇન્‍જેક્‍શનની વ્‍યવસ્‍થાને તોડવાનું કામ કર્યું છે. પોતાના મળતીયાઓને કાળા બજારી કરવાની છૂટ આપવામાં આવી છે. સુરત ભાજપ ફાર્માસીસ્‍ટ તરીકે ઇન્‍જેક્‍શન વેચાણની પરવાનગી કોને આપી ? હોસ્‍પિટલની જગ્‍યાએ પાર્ટી કાર્યાલયથી વ્‍યવસ્‍થા ના થવી જોઈએ. ઇન્‍જેક્‍શન સરકારી હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ કરાવવાની જવાબદારી સરકારની જો તમે હોસ્‍પિટલમાં ઇન્‍જેક્‍શનની વ્‍યવસ્‍થા ના કરી શકતા હોવ તો રાજીનામુ આપો. ઇન્‍જેક્‍શનના નામે ભાજપ ખોટા નાટક બંધ કરે

(3:48 pm IST)