Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

શિવનગરમાં નવોઢા વર્ષા શિયાળનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ ત્રાસ હોવાનો પિતાને આક્ષેપ

ચાર માસ પહેલા જ લગ્ન થયા'તાઃ કુચીયાદળ રહેતાં પિતા લખાભાઇ માટીયાએ કહ્યું-ગઇકાલે જ દિકરીએ ફોન કરી પોતાને તેડી જવા કહ્યું હતું: પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા., ૧૦: ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે આવેલા શીવનગરમાં ચાર માસ પહેલા પરણેલી નવોઢાએ ઘરકંકાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગ્રીન્‍ડલેન્‍ડ  ચોકડી મોબાઇ હોટલ પાસે આવેલ શીવનગર શેરી નં. ૪માં રહેતી વર્ષા સંજયભાઇ શિયાળ (ઉ.વ.ર૦) એ સવારે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. વર્ષા રૂમની બહાર ન આવતા પરીવારજનોએ ખખડાવતા તેણે દરવાજો ન ખોલતા દરવાજો તોડી અંદર વર્ષાને લટકતી હાલતમાં જોતા તાકીદે ૧૦૮ને ટીમે સ્‍થળ પર પહોંચી તબીબે તપાસ કરતા વર્ષાનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ પી.એ.ગોહીલ તથા રાઇટર મુકેશભાઇ ડામોરે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક વર્ષા કુચીયાદળ ગામે માવતર ધરાવતી હતી તે બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી.

તેના ચાર માસ પહેલા શીવનગરમાં રહેતા સંજય શીયાળ સાથે લગ્ન થયા હતા. પતિ મજુરી કામ કરે છે. વર્ષાના પિતા લખાભાઇ ભીમાભાઇ માટીયાએ પોતાની પુત્રીએ સાસરીયાના ત્રાસથી કંટાળી પગલુ ભર્યાનો આક્ષેપ કર્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)