Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કાલે પરમધામની પાવનભૂમિના પ્રાંગણે રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.નો ચાતુર્માસ મંગલ પ્રવેશ

રવિ પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં એક સાથે ૪૩ સંત-સતીજીઓના પ્રવેશ વધામણે ગૂંજી રહેશે પરમધામ

રાજકોટ તા. ૧૦ : અનેક આત્માઓ જે ભૂમિ પર પ્રતિબોધિત થયાં છે એવી ઘેઘૂર વનરાજીથી ઘેરાયેલી, મુંબઈ નાસિક હાઈવે પર આવેલી, કુદરતના ખોળે વસેલી પરમધામની પાવનભૂમિ પર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૫ સંતો અને પૂજય પ્રબોધિકાબાઈ મહાસતીજી આદિ ૩૮ સતીજીઓ એક સાથે રવિ પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડવા કાલે તા.૧૧ ને રવિવારે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.

કુદરતના ખોળે પરમધામના આ સંપૂર્ણ ચાતુર્માસ સાધર્મિક ભકિતનો વિસાવદર નિવાસી ધર્મવત્સલા માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી પરિવાર (બાદશાહ પરિવાર) લાભ લઈ ધન્ય થયા છે. પરમધામની પાવન ભૂમિમાં પ્રવેશ બાદ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી લાઈવના માધ્યમે, સવારે ૧૦ કલાકે ૨૧ રવિવારીય મહાસિદ્ઘિદાયક મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર જપ સાધનાનો રવિપુષ્ય નક્ષત્રના અમૃત સિદ્ઘિ યોગમાં મંગલમય પ્રારંભ થશે.

પ્યોર નેચરની ગોદમાં આવી રહ્યો છે કયોર નેચરનો ધન્યાતિધન્ય અવસર ત્યારે કોરોના મહામારીને લક્ષમાં રાખીને સમગ્ર ચાતુર્માસ દરમ્યાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે દરરોજના પ્રવચન તેમજ દર રવિવારે યુવા શિબિર તથા ગુરૂ પૂર્ણિમા અવસર, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, ભગવાન મહાવીર જન્મોત્સવ, માનવતા મહોત્સવ, આદિ કાર્યક્રમોનું લાઈવના મધ્યમે પ્રસારણ કરવામાં આવશે.

એ સાથે જ તા.૧૮ ને રવિવારના શુભ દિને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે ચાતુર્માસ અર્થે વિરલપ્રજ્ઞા વીરમતીબાઈ મહસતીજી આદિ ઠાણા-૪ મુંબઈ-વસઈથી વિહાર કરીને પરમધામની પાવનભૂમિમાં ચાતુર્માસ અર્થે મંગલ પ્રવેશ કરશે. કોરોના મહામારીના આ સમયમાં પરમ ગુરુદેવ તથા સંત-સતીજીઓના દર્શન-વંદન અર્થે આવતા, પરમધામના પ્રાંગણે સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરી,સંયમી આત્માઓની શાતા-સમાધિની ખેવના કરીએ.

(3:10 pm IST)