Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સોપાન કોટેક્ષના ભાગીદારને ૬૯ લાખની લેણી રકમના દાવામાં પ૦ ટકા રકમ જમા કરાવવાની શરતે બચાવ પરવાનગી

રાજકોટ તા. ૧૧: અત્રે ''સોપાન કોટેચા''ના ભાગીદાર સુરેશ લાભશંકર શીલુ તથા અન્ય વિરૂધ્ધ થયેલ રૂ. ૬૯,ર૦,૦૪૧/- ની લેણી રકમ સંબંધેના દાવામાં પ૦% રકમ ભરવાની શરતી બચાવની પરવાનગી આપતા રાજકોટ સીવીલ કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો આપેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હિરેન એન્ટરપ્રાઇઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર પ્રવિણભાઇ ડાયાભાઇ રામાણીએ લાલપર ગામે, મોરબી-વાંકાનેર હાઇવે, તા. વાંકાનેર જી. મોરબી ખાતે આવેલ સોપાન કોટેક્ષના નામથી ચાલતી જીનીંગ ફેકટરીના ભાગીદારો (૧) સુરેશ લાભશંકર શીલુ, મું. સાંકરવડી તે રાજુ, મહેશ અને મુકેશ શીલુના ભાઇ અને સદભાવના શરાફી સહકારી મંડળીના સભ્ય, (ર) વિશ્વચંદ્ર ધિરજ જાવીયા (૩) જીતુ ખીમજી નકુમ (૪) કૈલાશ લખમણ નકુમ, મું. રંગાણી કોઠારીયાનાને કપાસ વેંચવામાં આવેલ. જે કપાસની ખરીદીના નાણાં આ કામના પ્રતિવાદીઓ એટલે કે સોપાન કોટેક્ષના ભાગીદારોએ ન ચુકવતા તેમજ આ સોપાન કોટેક્ષના ભાગીદારો આ કાયદેસરના લેવાના થતા નાણા ફ્રોડ તથા ચીટીંગ આચરી ઓળવી જવા માંગતા હોય જેથી હીરેન એન્ટરપ્રપ્રાઇઝે સોપાન કોટેક્ષ સામે રૂ. ૬૯,ર૦,૦૪૧/- અંકે રૂપિયા ઓગણા સીતેર લાખ વીસ હજાર એકતાલીસ પુરાની લેણી રકમ વસુલવા રાજકોટની સીવીલ કોર્ટમાં સ્પે. સમરી કેસથી દાવો કરેલો.

કાયદાની જોગવાઇ પ્રમાણે સમરી દાવામાં તો જ બચાવ કરવા કોર્ટ પરવાનગી આપે કે જો બચાવમાં કોઇ તથ્ય જણાતું હોય અન્યથા આવા બચાવો શરતી એટલે કે નાણા જમા કરાવવાની શરતે કરશવા પરવાનગી આપવામાં આવતી હોય છે. આમ હિરેન એન્ટરપ્રાઇઝે રૂ. ૬૯,ર૦,૦૪૧/- અંકે રૂપિયા ઓગણા સીતેર લાખ વીસ હજાર એકતાલીસ પુરા વસુલ કરવાનો સમરી દાવો સોપાન કોટેક્ષની સામે માંડેલ હતો.

આ દાવામાં આ કામના પ્રતિવાદી સોપાન કોટેક્ષનાએ બોગસ, ખોટા અને ઉપજાવી કાઢેલ ગેરકાનુની બચાવ રજુ કરેલ તેમજ એડવોકેટ અર્જુન એસ. પટેલ દ્વારા દલીલ કરતા જણાવેલ કે હાલના કેસમાં જે ડેબીટ નોટો પ્રતિવાદીઓએ પુરાવા તરીકે રજુ રાખી બચાવની પરવાનગી માંગેલ તે ડેબીટ નોટો પાછળથી ફ્રોડ આચરી ઉપજાવી કાઢેલ છે જે હકીકત આવી ડેબીટનોટો જોતાજ પ્રથમ દર્શનીય રીતે જણાઇ આવે છે વિશેષમાં અર્જુન પટેલ એડવોકેટ દ્વારા દલીલ કરતા જણાવવામાં આવેલ કે ડેબીટ નોટ કયારે હોઇ શકે? અને ડેબીટ નોટ સાબીત કરવાની પ્રક્રિયા શું છે. તેમજ વાદી હીરેન એન્ટરપ્રાઇઝની આવડી મોટી લેણી રકમ ઓળવી જવાના બદઆશયથી આવી ડેબીટ નોટો કોમ્પ્યુટરમાં ખોટી ઉભી કરવામાં આવેલી છે. જે દલીલો માન્ય રાખી પ્રતિગવાદીનો આવો જે બચાવ ડાઉટફુલ ગણી સોપાન કોટેક્ષ અને તેના ભાગીદારો વિરૂધ્ધ દિવસ-૩૦ માં દાવાની પ૦% રકમ લેખે રૂ. ૩૪,૬૦,૦ર૦/- કોર્ટમાં જમા કરાવવાની શરતે બચાવ કરવા પરવાનગી આપેલ છે.

આ દાવાના કામે હિરેન એન્ટરપ્રાઇઝના એડવોકેટ શ્રી અર્જુન એસ. પટેલ, જવલંત આર. પરસાણા, સચીન બી. સગપરીયા, સત્યજીત જે. ભટી, મહેન એમ. ગોંડલીયા, જીગર બી. નસીત, મુકેશ જી. ગોંડલીયા રોકાયેલ છે.

(11:37 am IST)