Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ધમસાણીયા કોલેજના પ્રોફેસર આર. એલ. પાંભરની જિંદગીની સફરનો નિકાવા નજીક અચાનક અંત

રાજકોટ તા. ૧૧: શહેરના યુનિવર્સિટી રોડ પર ચિત્રકુટ ધામ સોસાયટીમાં રહેતાં ધમસાણીયા કોલેજમાં પ્રોફેસરની જિંદગીની સફરનો અચાનક અંત આવી જતાં સ્વજનો, સાથી કર્મચારીઓ અને મિત્રો પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે. કાલાવડથી ધર્મપત્નિ સાથે કારમાં પરત આવતી વખતે નિકાવા પાસે સોડા પીવા ઉભા રહ્યા ત્યારે એકાએક ઢળી પડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ ચિત્રકુટધામમાં રહેતાં રમેશભાઇ લાખાભાઇ પાંભર (ઉ.વ.૫૬) ગઇકાલે પોતાના ધર્મપત્નિ જયશ્રીબેન સાથે પોતાના વતન કાલાવડ પાસેના ગામે ગયા હતાં. ત્યાંથી પરત કારમાં રાજકોટ આવતી વખતે નિકાવા પાસે બધા સોડા પીવા ઉભા રહ્યા હતાં. આ વખતે રમેશભાઇ એકાએક બેભાન થઇ ઢળી પડતાં તુરત જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે નિકાવા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી. રમેશભાઇ પાંભર ધમસાણીયા કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. બનાવને પગલે સ્વજનો, મિત્રો, સ્નેહીજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:33 am IST)