Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અમરનગરમાં ધોરણ ૧૨ની છાત્રા તેજલનો ગળાફાંસો ખાઈ આપઘાત

સાંજે પરિવારજનો ઉઠાડવા જતા યુવતી લટકતી જોવા મળીઃ કારણ જાણવા તપાસ

રાજકોટ, તા. ૧૧ :. દૂધ સાગર રોડ પર અમરનગરમાં ધોરણ ૧૨ની છાત્રાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ દૂધસાગર રોડ આકાશદીપ સોસાયટી પાછળ અમરનગર-૧માં રહેતી તેજલ કિશોરભાઈ સોલંકી (ઉ.વ.૧૮) એ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો ઉઠાડવા જતા યુવતીને લટકતી જોવા મળતા દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બાદ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઈએમટી જૈમીનસિંહએ તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઈ જે.ડી. વસાવા તથા પૃથ્વીસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક તેજલના પિતા શાકભાજીની લારી ચલાવે છે. તે બે ભાઈ એક બહેનમાં મોટી હતી. તે સરકારી શાળામાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)